ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક દિવસ પહેલાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. આ સાથે વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને વન-ડેની કેપ્ટનશિપ સોંપવાની જાહેરાત પણ કરી હતી. જોકે, બીસીસીઆઈ તરફથી આ બાબતનો ખુલાસો કરાયો નથી.
BCCIએ રોહિત શર્માને વન-ડે અને ટી-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવાની કરી જાહેરાત
રોહિત શર્મા ટી-20 અને વન-ડે બંને ફોર્મેટમાં ટીમનું સુકાન સંભાળશે
ફક્ત એક ટ્વિટ કરવામાં આવ્યું હતુ કે અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ રોહિત શર્માને વન-ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમોના કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ વન-ડે ટીમનું સુકાન વિરાટ કોહલી પાસેથી લીધા બાદ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મૌન તોડ્યુ છે. દાદાએ ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે વિરાટ કોહલીને કેપ્ટનશિપમાંથી હટાવવાનો નિર્ણય બીસીસીઆઈ અને પસંદગીકારોની મંજૂરી બાદ થયો છે. બીસીસીઆઈએ પહેલાં વિરાટને વિનંતી કરી હતી કે તેઓ ટી-20 ટીમનું સુકાન ના છોડે. પરંતુ તેઓ તેના માટે તૈયાર ના થયા. આવી સ્થિતિમાં પસંદગીકારોને પણ લાગે છે કે આ યોગ્ય નથી કે વન-ડે અને ટી-20 ટીમના અલગ-અલગ કેપ્ટન હોય. તેથી આ નિર્ણય લેવામાં આવ્યો કે વિરાટ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે યથાવત રહેશે અને રોહિત શર્મા ટી-20 અને વન-ડે બંને ફોર્મેટમાં ટીમના સુકાનની જવાબદારી સંભાળશે.
કેપ્ટન માટે વિરાટ કોહલી સાથે મેં પર્સનલી વાતચીત કરી: દાદા
દાદાએ વધુમાં કહ્યું, હું બીસીસીઆઈ અધ્યક્ષ હોવા છતાં પોતે વિરાટ કોહલીને વન-ડે ટીમની કેપ્ટનશિપ અંગે વાતચીત કરી હતી. ત્યારબાદ પસંદગી કમિટીના ચેરમેને પણ તેમની સાથે ચર્ચા કરી હતી. અમને રોહિત શર્માની નેતૃત્વ ક્ષમતા પર વિશ્વાસ છે અને વિરાટ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે યથાવત રહેશે. બીસીસીઆઈ આ વાતને લઇ આશ્વસ્ત છે કે ભારતીય ક્રિકેટ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના હાથમાં છે. ગાંગુલીએ કહ્યું કે પસંદગીકારોને લાગે છે કે વ્હાઈટ બોલના ફોર્મેટમાં અલગ કેપ્ટન હોવાથી સમસ્યા સર્જાશે. તેથી ચેતન શર્માની આગેવાનીવાળી સમિતિએ સુચન કર્યુ કે તેમાં એક જ કેપ્ટન રહે.
નવા કેપ્ટનની આવડત પર અમને વિશ્વાસ
ગાંગુલીએ કહ્યું કે હું મૂંઝવણ અંગે વિચારતો નથી. પરંતુ પસંદગીકારોને તેવુ લાગ્યું. આ રીતે નિષ્કર્ષ પર પહોંચ્યા કે રોહિત વ્હાઈટ બોલ ફોર્મેટ અને વિરાટ લાલ બોલ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, અમને રોહિત શર્માના ધારદાર અંદાજ પર સંપૂર્ણ વિશ્વાસ છે.