કોરોનાને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે. ત્યારે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ જે નિવેદન આપ્યું છે તેનાથી ભારતીય ક્રિકેટ ચાહકોને મોટો ઝટકો લાગી શકે છે. હકીકતમાં સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, કોરોના વાયરસને કારણે, નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ ક્રિકેટ મેચ નહીં થાય. કોરોના વાયરસને કારણે ક્રિકેટ કેલેન્ડર રોકાઈ ગયું છે અને તમામ સીરિઝ અને ટૂર્નામેન્ટ્સ રદ અથવા સ્થગિત રાખવામાં આવી છે.
કોરોનાના કહેરથી ક્રિકેટ જગતની મુશ્કેલીઓ વધી
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહી આ વાત
અનિશ્ચિત સમય માટે હાલ ક્રિકેટ જગત થંભી ગયું છે
જોકે, થોડાં દિવસોમાં ઘણાં દેશોમાં કોરાનાના કેસ ઓછાં થયા છે અને તેમાંથી એક જર્મની પણ છે. તેથી જ જર્મની તેની ફૂટબોલ લીગ ફરી શરૂ કરી શકે છે. જોકે ગાંગુલીએ કહ્યું કે, ભારતની પરિસ્થિતિ જર્મનીથી અલગ છે. ગાંગુલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'જર્મની અને ભારતની સામાજિક વાસ્તવિકતા એકદમ અલગ છે. નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ ક્રિકેટ નહીં રમાય. કારણ કે આમાં જીવનું જોખમ રહેલું છે અને હું તેના પક્ષમાં નથી.
માર્ચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલ પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈને હાલમાં આઇપીએલ માટે કોઈ નવી વિંડો મળી રહી નથી. અગાઉ, બીસીસીઆઈએ આઈપીએલ 15મી એપ્રિલ સુધી મુલતવી રાખી હતી, એવી આશામાં કે જો પરિસ્થિતિમાં સુધારો થાય તો, યોગ્ય વિંડો જોઈને ટૂર્નામેન્ટ યોજાઈ શકે છે, પરંતુ લોકડાઉન 3 મે સુધી લંબાવવાથી આ શક્યતા પણ ખતમ થઈ ગઈ.
આ પહેલાં ગાંગુલીએ આપ્યું હતું આ નિવેદન
સૌરવ ગાંગુલીએ કહ્યું કે, હાલના સંજોગોમાં આઇપીએલનું આયોજન કરવું મુશ્કેલ છે. આ સમયે એરપોર્ટ બંધ છે, લોકો ઘરોમાં અટવાઈ ગયા છે, ઓફિસો બંધ છે, કોઈ પણ ક્યાંય જઇ શકશે નહીં અને એવું લાગે છે કે મેના અંત સુધી આવું જ ચાલતું રહેશે.
આઈપીએલ વિશે બીસીસીઆઈએ શું કહ્યું?
આ અગાઉ બીસીસીઆઇએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'દેશનું આરોગ્ય અને સલામતી અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે. બીસીસીઆઈ ફ્રેન્ચાઇઝી માલિકો, બ્રોડકાસ્ટર્સ, પ્રાયોજકો અને તમામ હોદ્દેદારોની સ્વીકૃતિ છે કે, આઇપીએલ 2020 સીઝન ત્યારે જ શરૂ થશે જ્યારે પરિસ્થિતિઓ સુધરશે.