ભારતે ક્રિકેટનાં ઈતિહાસમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિઓમાં દેશનાં ખેલાડીઓનું મોટું યોગદાન રહે છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ માટે વિવિધ નામો નોમિનેટ કરવામાં આવ્યા છે.
રાજીવ ગાંધી ખેલરત્ન માટે આ વર્ષે રોહિત શર્માને નોમિનેટ કર્યા
અર્જુન એવોર્ડ માટે ઈશાંત શર્મા, શિખર ધવન અને દીપ્તિ શર્મા
સૌરવ ગાંગુલીએ ખેલાડીઓના કર્યા વખાણ
BCCIએ રાજીવ ગાંધી ખેલરત્ન માટે આ વર્ષે રોહિત શર્માને નોમિનેટ કર્યા છે. આ સિવાય અર્જુન એવોર્ડ માટે ઈશાંત શર્મા, શિખર ધવન અને મહિલા ટીમમાંથી દીપ્તિ શર્માનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. BCCIએ શનિવારે આ જાણકારી આપી છે.
એક નિવેદનમાં BCCIએ કહ્યું કે ભારત સરકારના ખેલ મંત્રાલયે 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર સુધીના કાર્યકાળ માટે આવેદન માંગ્યા હતા. સૌરવ ગાંગુલીએ કહ્યું કે અમે આ નામ નક્કી કર્યા પહેલા ઘણા બધા ડેટા પર અધ્યયન કર્યું અને મોટા પાયે ચર્ચા પણ કરી. રોહિતે એક બેટ્સમેન તરીકે કેટલાય બેન્ચમાર્ક સર કર્યા છે અને તેવી સિદ્ધિઓ હાંસલ કરી છે જે અન્ય ખેલાડીઓ નથી કરી શક્યા. અમને લાગે છે કે તે ખેલ રત્ન મેળવવાના હકદાર છે.
વધુમાં તેમણે કહ્યું કે ઈશાંત ટેસ્ટ ટીમના સૌથી સિનિયર ખેલાડી છે અને ભારતને નંબર વન બનવવામાં તેમનું મોટું રહ્યું છે, શિખર ધવન પણ સતત સારું કામ કરી રહ્યા છે. અને આઈસીસી ટૂર્નામેન્ટમાં તેમનું પ્રદર્શન ખૂબ અગત્યનું રહે છે. જ્યારે દિપ્તી ઓલરાઉન્ડર છે અને ટીમની કામયાબીમાં યોગદાન રહ્યું છે.