ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવ્યા બાદ આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને લઈને મોટો નિર્ણય લઈ શકે છે
BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી
હવે આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને લઈને મોટો નિર્ણય લઈ શકે
રોહિત શર્મા હાલમાં વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે: રિપોર્ટ
ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું અને તે સેમીફાઈનલમાં હારીને ટાઈટલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હારનું પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરી દીધું છે. આ તરફ હવે બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં BCCI પણ રોહિત શર્માને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.
બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરવા સાથે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હોવાનું પીટીઆઈના અહેવાલમાં સામે આવ્યું છે. ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિનું પહેલું કામ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવાનું રહેશે. જ્યારે પણ નવી પસંદગી સમિતિ કાર્યભાર સંભાળશે ત્યારે તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન પસંદ કરવાનું ફરજિયાત રહેશે. આનો અસરકારક અર્થ એ છે કે, BCCI હવે અલગ-અલગ કેપ્ટનોની પેટર્નને અનુસરશે.
એક રિપોર્ટ અનુસાર રોહિત શર્મા હાલમાં વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. જ્યારે હાર્દિક પંડ્યા યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર 2024 ટી-20 વર્લ્ડ કપ સુધી સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન બનશે. હાર્દિક હાલમાં ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને જો તે આમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરશે તો તેના નિર્ણય પર મહોર લાગી જશે.
મહત્વનું છે કે, 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ આ વર્ષે પોતાની જાતને એક કેપ્ટન તરીકે રજૂ કરી છે અને દુનિયા તેની અંદર રહેલી જબરદસ્ત નેતૃત્વ ક્ષમતા જોઈ રહી છે. હાર્દિક પંડ્યા બેટ અને બોલ સાથે સતત શાનદાર રમત બતાવી રહ્યો છે. તે ક્યારેય પોતાના પર દબાણ નથી આવવા દેતા, જે તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. ઉદાહરણ તરીકે, IPL 2022ની શરૂઆત પહેલાં, ભાગ્યે જ કોઈ ક્રિકેટ નિષ્ણાતે ગુજરાત ટાઇટન્સને જીતનો દાવેદાર કહ્યું હતું. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપને કારણે આ નવી ટીમ IPL ચેમ્પિયન બની હતી. હાર્દિક પંડ્યાએ IPL 2022માં 15 મેચોમાં 44.27ની એવરેજથી 487 રન બનાવ્યા હતા, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે અને તેની બોલિંગમાં કુલ આઠ વિકેટ પણ લીધી હતી.
રોહિત કેપ્ટનશિપ અને બેટિંગ બંનેમાં ફ્લોપ રહ્યો
2013ની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતે એકપણ ICC ટ્રોફી જીતી નથી. આવી સ્થિતિમાં રોહિત શર્મા આ વખતે ખિતાબના દુષ્કાળને ખતમ કરવામાં સફળ રહેશે તેવી તમામને આશા હતી. પરંતુ રોહિત ICC નોકઆઉટ રમતોમાં ટીમ ઈન્ડિયાના નિરાશાજનક રેકોર્ડને સુધારી શક્યો નહીં. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં પણ રોહિતની કેપ્ટન્સી રંગહીન દેખાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં બેટ સાથે તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને તેણે છ મેચમાં 19.33ની સરેરાશથી 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 106.42 હતો, જે ખૂબ જ ખરાબ કહી શકાય.