પુલવામા આતંકી હુમલા બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ક્રિકેટ વિશ્વ કપમાંથી પાકિસ્તાનને બહાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે.
જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પત્ર લખીને પાકિસ્તાનની ટીમને વિશ્વકપમાંથી બહાર કરવાની માગ કરશે. ક્રિકેટ પ્રશાસકોની સમિતિના ચેરમેન વિનોદ રાયે BCCIના સીઇઓ રાહુલ જૌહરી સાથે ICCને પત્ર લખવા જણાવ્યું છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ રાહુલ જૌહરી આ પત્રમાં પુલવામા હુમલા બાદ દેશમાં ગુસ્સાનો માહોલને લઇને અપીલ કરશે કે પાકિસ્તાનને ક્રિકેટ વિશ્વકપમાંથી બહાર કરવામાં આવે આવા વાતાવરણ હેઠળ ભારત પોતાના પાડોશી દેશ સાથે ક્રિકેટ રમવા ઇચ્છતું નથી.
જૌહરી 27 ફેબ્રુઆરીના રોજ ICCના પ્રસ્તાવિત કાર્યક્રમમાં આ માગ ઉઠાવી શકે તેમ છે. તેની સાથે શુક્રવારના રોજ બીસીસીઆઇના સીઇઓ ખેલ પ્રશાસકોની સમિતિ (COA)ની સાથે પણ બેઠક યોજી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ દ્વારા પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.
આ હુમલા બદ ભારતના તમામ પૂર્વ ક્રિકટરોએ પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેમાં હરભજનસિંહથી લઇને પૂર્વ સુકાની સૌરવ ગાંગૂલી ચેતન ચૌહાણ ગૌતમ ગંભીર અને પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરૂદ્દીન સામેલ છે.