ભારતીય ટીમ આગામી મહિને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ શ્રેણી પર વિરાટ કોહલીની સેનાની ઘણાં સમયથી નજર છે. કારણકે ભારત અત્યાર સુધી ક્યારેય પણ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. પરંતુ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોન આવી જવાથી ખતરો વધી ગયો છે અને આ પ્રવાસ રદ્દ થાય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.
શું રદ્દ થશે ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ?
કોરોના વાયરસના નવા વેરિએન્ટથી ખતરો વધ્યો
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો
ગાંગુલીનો મોટો ખુલાસો
આ પ્રવાસ થશે કે નહીં તેની પર બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક મોટો ખુલાસો કર્યો છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે અત્યારે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ તેના પહેલાં નક્કી કરેલા કાર્યક્રમ મુજબ થશે અને કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે આવ્યાં બાદ તેની સાથે જોડાયેલી પરિસ્થિતિ પર અમારી નજર છે. કોવિડ-19ના નવા વેરિએન્ટના પ્રસારને લઇને ચિંતા વધી રહી છે. જેનું નામ ઓમીક્રોન છે. જેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં સામે આવ્યો છે. ગાંગુલીએ એક કાર્યક્રમમાં કહ્યું, અત્યારે પ્રવાસ તાજેતરની સ્થિતિ મુજબ થશે. અમારી પાસે નિર્ણય કરવા માટે હજી પણ સમય છે. પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરથી થશે. અમે તેના પર વિચાર કરીશું.
ચાર્ટડ વિમાનથી દક્ષિણ આફ્રિકા પહોંચશે ટીમ
ન્યુઝીલેન્ડ સામેની ભારતની બીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈમાં ત્રણ ડિસેમ્બરથી રમાશે. ત્યારબાદ ભારતીય ટીમનો ત્યાંથી આઠ અથવા નવ ડિસેમ્બરે ચાર્ટર્ડ વિમાનથી જોહાનિસબર્ગ રવાના થવાનો કાર્યક્રમ છે. ગાંગુલીએ કહ્યું, ખેલાડીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા બીસીસીઆઈની પ્રથમ પ્રાથમિકતા રહી છે. અમે જોઈશું કે આગામી દિવસમાં શું થાય છે.
હાર્દિક પંડ્યા પર આપ્યું મોટું નિવેદન
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનુ સમર્થન કરતા કહ્યું કે હાર્દિક પંડ્યા ફિટનેસ પ્રાપ્ત કર્યા બાદ તેઓ ફરીથી ટીમમાં પોતાનું સ્થાન બનાવી લેશે. તેમણે કહ્યું, પંડ્યા એક સારા ક્રિકેટર છે. પરંતુ તેઓ સ્વસ્થ નથી. આ જ કારણ છે કે તેઓ ટીમમાં નથી. તેઓ યુવાન છે. હું આશા રાખુ છુ કે તેઓ સાજા થયા બાદ ફરીથી વાપસી કરશે.