ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રજા આપી દેવામાં આવી છે. હવે આ મામલે નવો ખુલાસો થયો છે.
કોરોના થયા બાદ 2 દિવસ પહેલા જ તેમને કરાયા હતા ડિસ્ચાર્જ
ગાંગુલીનો રિપોર્ટ કોરોના ડેલ્ટા વેરિયન્ટ પોઝિટિવ
ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ આવ્યો
ગાંગુલીનો રિપોર્ટ કોરોના ડેલ્ટા વેરિયન્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમને આઇસોલેશનમાં ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે આ દિવસોમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૌરવ ગાંગુલી પણ કોરોના વાયરસની પકડમાંથી બચી શક્યા નથી. 49 વર્ષીય સૌરવ ગાંગુલીને ગત અઠવાડિયે(સોમવાર) જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી 3 ડોક્ટરોની ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. સૌરવના કોવિડ સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટના આધારે જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીના સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ નથી કરવામાં આવી.
ગાંગુલીને કોઇ ગંભીર સમસ્યા નથી
49 વર્ષના સૌરવ ગાંગુલીને શુક્રવારે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી. ડૉક્ટરોને જણાયું કે ગાંગુલીને કોઇ તકલીફ નથી. તેઓ ખતરાથી બહાર છે. આ કારણે ગાંગુલીને હોસ્પિટલથી રજા મળી ગઇ હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ એન્ટીબોડ કૉકટેલ થેરાપી આપવામાં આવી હતી. આ પહેલા તેમના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.
થોડા સમય પહેલા જ આવ્યો હતો હાર્ટ એટેક
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સાજો થઈ ગયા હતા અને સતત કામ કરી રહ્યા હતા.