ભારતીય ક્રિકેટને પોતાના શાનદાર પ્રદર્શનથી હાલના મુકામ સુધી પહોંચાડનારા ખેલાડી હવે ગુમનામીભરી જિંદગી નહીં જીવે.
BCCIએ ભારતીય ક્રિકેટ સંઘ (ઇન્ડિયન ક્રિકેટ એસોસિયેશન-ICA)ને મંજૂરી આપતાં આ દિશામાં મોટું પગલું ભર્યું છે.
ICAની રચના આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ ભૂતપૂર્વ ક્રિકેટરોનાં હિતોની રક્ષા કરવાનો છે. આ સંસ્થાની રચના BCCIના નવા બંધારણ અંતર્ગત કરવામાં આવી છે, જોકે ICA ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય સંસ્થા-ફેડરેશન ઓફ ધ ઇન્ટરનેશનલ ક્રિકેટર એસોસિયેશન સાથે સંબંધિત નથી. આની ફક્ત ભારતના ભૂતપૂર્વ પુરુષ અને મહિલા ખેલાડીઓનાં હિતોની રક્ષા કરવા માટે રચના કરાઈ છે.
મોટા ભાગના દેશોમાં બનેલાં પ્લેયર્સ એસોસિયેશન ક્રિકેટરો અને ક્રિકેટ બોર્ડ વચ્ચે મધ્યસ્થતાનું કામ કરતાં હોય છે, પરંતુ BCCIએ ICAની રચના ફક્ત એ ઉદ્દેશથી કરી છે કે જેથી આ સંસ્થા દ્વારા દેશની સેવા કરનારા ભૂતપૂર્વ ક્રિકેટરોનું ધ્યાન રાખી શકાય.
BCCIએ આ અંગે નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે બોર્ડે કંપનીઝ એક્ટ-2013 અંતર્ગત ગત તા. 5 જુલાઈ, 2019ના રોજ રચેલી નોન પ્રોફિટ સંસ્થા ICAને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે.
ICA સ્વતંત્ર રૂપથી કામ કરશે અને તેના માટે ફંડ પણ અલગ હશે, જોકે BCCI શરૂઆતમાં થોડી મદદ ઉપલબ્ધ કરાવશે, પરંતુ બાદમાં ICAના સભ્યોએ તેની જવાબદારી લેવી પડશે. BCCIએ એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે ICA સિવાય ભૂતપૂર્વ ક્રિકેટરોની કોઈ પણ અન્ય સંસ્થાને માન્યતા નહીં અપાય.
ભારતના ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરો કપિલદેવ, અજિત અગરકર અને શાંતા રંગાસ્વામીને ICAના ડિરેક્ટર બનાવાયા છે. આ બધા BCCIની ચૂંટણી યોજાય ત્યાં સુધી પોતાના પદ પર જળવાઈ રહેશે.