ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. માહીના કરોડો ચાહકો તેને ફરી એકવાર બ્લૂ જર્સીમાં જોવા માગે છે. બધાંના મનમાં એક જ સવાલ છે કે ધોની મેદાનમાં પાછો ક્યારે આવશે. જોકે, આ બધાંની વચ્ચે આશાનું એક નવું કિરણ દેખાયું છે, પરંતુ દુનિયાના સૌથી બેસ્ટ વિકેટકીપર બેટ્સમેનમાંથી એક ધોની કોઈ અન્ય ટીમ સાથે રમતો દેખાઈ શકે છે.
હકીકતમાં આવતા વર્ષે 18 માર્ચ અને 21 માર્ચ 2020માં વર્લ્ડ ઈલેવન અને એશિયા ઈલેવન વચ્ચે મેચ રમાવાની છે. આ બંને મેચ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ BCCI પાસેથી મહેન્દ્ર સિંહ ધોની સહિત 7 ખેલાડીઓ આપવાની મંજૂરી માગી છે. BCBએ ધોની ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાને મેચ માટે આપવા વિનંતી કરી છે.
બધાંને ખબર છે કે ધોનીએ આ વર્ષે ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમ્યા બાદથી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી. હાલમાં ધોનીના ભવિષ્યને લઈને કોઈ સ્પષ્ટતા નથી. તેણે ભારતીય ટીમમાં ફરી રમવા અંગે કે સન્યાસ અંગે કોઈ જાહેરાત કરી નથી.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોલકાતામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 46 રનથી હરાવ્યા હતા. વિરાટ સેનાએ ઈન્દોર ટેસ્ટમાં પણ ત્રણ દિવસમાં બાંગ્લાદેશને ઈનિંગ્સ અને 130 રને હરાવ્યું હતું. જે બાદ કોલકાતા ટેસ્ટ સીરિઝમાં ભારતે બાંગ્લાદેશને હરાવી બે ટેસ્ટ સીરિઝમાં 2-0થી કબજો કર્યો હતો.