નવા વર્ષમાં ભારતીય જમીન પર હુમલો કરવાના ષડયંત્રને લઇને પાકિસ્તાની આતંકવાદીઓના ઇરાદાઓને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદ પર લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર 30 ડિસેમ્બરના રોજ નૌગામ સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમ વિરુધ્ધ મોટી કાર્યવાહી કરી છે.
આ કાર્યવાહીમાં બે ઘૂસણખોરને ઠાર માર્યા છે. જ્યારે મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. એક મળતાં અહેવાલ મુજબ પાકિસ્તાનની BAT ટીમ સરહદ પાસેના જંગલોમાં ભારે જથ્થામાં આવી રહી હતી
જ્યારે સરહદ પાસે પહોંચી ત્યારે પાકિસ્તાની સેના દ્વારા તેમના કવરમાં સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ ભારતીય સેનાએ પાકિસ્તાની બેટ ટીમના આ હુમલાને નાકામ બનાવી દીધો છે.
આ હુમલામાં ભારતે બે પાકિસ્તાની સેનાના જવાનોને ઠાર માર્યા છે તેમજ હથિયાર જપ્ત કર્યાં છે. બેટ ટીમના ઓપરેશન બાદ સેનાના જવાનોએ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સેનાએ આ ઘૂસણખોરી પર જણાવ્યું કે ઘુસણખોરોએ ફોજીઓના કપડા પહેર્યાં હતા અને તેમની પાસે ભારે માત્રામાં હથિયાર મળી આવ્યાં છે. સેનાએ કહ્યું છે કે બેટ ટીમને પાકિસ્તાનની સેના પ્રોટેકશન આપી રહી હતી એટલે અમે તેમને અપીલ કરીએ છીએ કે આ ઘૂસણખોરીના મૃતદેહ પરત લઇ લે.
BATનું પૂરુ નામ બોર્ડર એકશન ટીમ છે. આ અંગે ઓગસ્ટ-2013 દરમિયાન ખબર પડી હતી. ત્યારે બેટની ટીમે પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેના પર હુમલો કર્યો હતો.
ખરેખર તો આ પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સમાંથી પસંદ કરાયેલા સૈનિકોનું એક ગૃપ છે. આશ્ચર્યજનક વાત એ પણ છે કે બેટની ટીમમાં સૈનિકો જેવી ટ્રેનિંગ મેળવનાર આતંકીઓને પણ સામેલ છે.
આ ટીમના સભ્યોને LoCમાં 1 થી 3 કિમી સુધી અંદર ઘૂસણખોરી કરી હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવે છે.