લઠ્ઠાકાંડ બાદ સરકાર તો ન જાગી પણ હવે રોજીદ ગામના સરપંચ જાગી ગયા છે. સરપંચે સંકલ્પ કર્યો કે ગામમાં ક્યારેય દારુ નહીં વેચાવા દઉ
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડનો મામલો
SITની ટીમ પહોંચી રોજીદ ગામે
મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા
વર્ષ 2009 બાદ આજે ફરીએકવાર ગુજરાતમાં ઝેરી દારૂથી અનેક જીંદગીઓના દિપક બુઝાઈ ગયા. પરિવારોના પરિવાર બરબાદ થઈ ગયા.એક તરફ આપણે વિશ્વગુરૂ બનવાની વાત કરતા રહ્યા છીએ, વિશ્વના નક્શામાં ગુજરાતના ગૌરવને આગવી રીતે દર્શાવી રહ્યા છીએ, ગુજરાતના વિકાસની ગાથા ગાઈ રહ્યા છીએ, ડીજીટલાઇઝેશન, વિકાસ, સ્વર્ણિમ ગુજરાતની વાત કરી રહ્યા છે ,ત્યારે ગુજરાતની વરવી વાસ્તવિકતા અને વેદના સામે પણ મોં છુપાવી રહ્યા છીએ. કારણ કે આપણા યુવાનો નશાનો ભોગ બની રહ્યા છે, લોકોના ભાઈ-પુત્ર-અને પિતા પણ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે.તો બીજી તરફ વહીવટી તંત્ર, પોલીસ અને સત્તા તમામ લોકો મોતનો મંજર ખુલ્લેઆમ જોઈ રહી છે. વાત બરવાળાના કેમિકલકાંડ કહો કે લઠ્ઠાકાંડ તેની કરી રહ્યા છીએ.જ્યાં પરિવારોના પરિવાર બરબાદ થઈ ગયા છે. કેટલીય જિંદગીઓ હોમાઈ ગઈ છે.લોકોમાં આક્રોશ સાથે આક્રંદ પણ છે.
SIT ટીમ ઘટનાસ્થળે જઈ કરી રહી છે તપાસ
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડનો મામલે SITની ટીમ રોજીદ ગામે પહોંચી હતી. અહીં મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા. તેમજ ગામ લોકોના પણ નિવેદન પણ નોટ કરવામાં આવ્યા છે.IGP સુભાષ ત્રિવેદી, એમ.એ.ગાંધી સહિતના અધિકારીઓ પરિવારને સાંત્વના પાઠવી બનાવ અંગેની હકીકતની પૂછપરછ કરી.જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે.
રોજીદ ગામના 9 લોકોના મોત
વીટીવી ન્યૂઝની ટીમ બોટાદના રોજીદ ગામે પહોંચી હતી. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના પરિવારજનો સાથે વાત કરી હતી. રોજીદ ગામના ઉપસરપંચે જણાવ્યું કે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બોટાદમાં પણ અરજી આપી છે. પોલીસે એકવાર આવીને બધુ બંધ કરાવી દીધુ પણ ફરીથી પાછુ ચાલુ પણ થઇ ગયું. ચાર વાર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને મામલતદારને પણ કહ્યું પરંતુ વહેલી તકે એ લોકોએ આ બંધ કરાવ્યુ હોત તો અત્યારે આ દિવસ જોવાનો વારો ન આવતો.
હું દારૂ પીતો હતો પાંચ દિવસ પહેલા જ બંધ કર્યો - સ્થાનિક
બુટલેગરો રોજ સવારે-સાંજે દારૂ લઇને આવતા હતા જેની પોલસીને પણ જાણ હતી. પોલીસને જાણ કરીએ તો એક દિવસ બુટલેગરોને લઇ જતા અને પછી છોડી મુકતા હતા. તો અન્ય સ્થાનિકે વાત કરતા જણાવ્યુ કે હું પોતે દારૂ પીતો હતો પરંતુ પાંચ દિવસ પહેલા મે દારૂ પીવાનું બંધ કર્યું. લોકોને એમ હતુ કે આ ઘટનામાં પણ હું પણ હોઇશ જ એટલે લોકો મને શોધવા નીકળ્યા હતા. પણ હું તો ગાયો ચરાવવા ગયો હતો. અત્યારે મારા મોટાભાઇનું મૃત્યુ થઇ ગયુ છે. આ અંગે બેફામ રીતે દારૂ વેચાતો હતો આ મામલે સરપંચ દ્વારા રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. પરિવારે તમામને ન્યાય મળે અને દોષિતને સજા મળે તેવી માંગ કરી રહ્યો છે. લઠ્ઠાકાંડ બાદ સરકાર તો ન જાગી પણ હવે રોજીદ ગામના સરપંચ જાગી ગયા છે. સરપંચે સંકલ્પ કર્યો છે કે ગામમાં ક્યારેય દારુ વેચાવા નહીં દઉ
કુલ 33 લોકો સામે ગુનો દાખલ 21ની ધરપકડ
બરવાળા લઠ્ઠાકાંડમાં મંગળવાર સાંજે 7 વાગ્યા સુધીમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ગુજરાતના મોટા અધિકારીઑ તપાસમાં જોતરાયા છે. કાર્યવાહીનો ધમધમાટ વચ્ચે ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાંથી 7 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે.રાણપુરમાં 11 સામે ગુનો દાખલ, 6 શખ્સો ઝડપાયા, ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ, તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આવતીકાલે આરોપીઓને અલગ અલગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે
રોજીદ ગામે ગજુબેન દારૂનું વેચાણ કરતા હતા: બોટાદ SP કરણરાજસિંહ વાઘેલા
બરવાળા લઠ્ઠાકાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે બોટાદ SP કરણરાજસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે રોજીદ ગામે ઝેરી કેમિકલ પીવાથી લોકોના મોત થયા છે. જેમને અસર થઇ હતી તેમને હોસ્પિટલ શિફ્ટ કરવામા આવ્યા હતા. જુદા જુદા ગામમાં સર્ચને પણ લોકોને સારવાર અર્થે ખસેડી લેવામાં આવ્યા છે. રોજીદ ગામે ગજુબેન દારૂનું વેચાણ કરતા હતા. પિન્ટુ અને લાલાએ કેમિકલ આપ્યું હતું. જેમણે નભોઇના સંજય અને હરેશ પાસેથી કેમિકલ લીધુ હતુ. સંજયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, રાજુ ઉર્ફે જયેશ પાસેથી નારોલ ફેક્ટરીમાંથી કેમિકલ લાવ્યો હતો. કેમિકલની માત્રા 600 લિટર હતી. 3 બુટલેગરોએ 200-200 લીટર કેમિકલ રાખ્યું હતું. પિન્ટુ, સંજય અને અજિત પાસેથી 140 લીટર કેમિકલ જપ્ત કરવામાં આવ્યું છે.50 લીટર કેમિકલ તેઓએ ફેંકી દીધુ હતું.
દેશી દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી ક્યારે?
બોટાદ બરવાળા કથિત લઠ્ઠાકાંડે રાજ્યભરના લોકોને હચમાચાવી નાખ્યા છે ત્યારે અમે આપને કેટલાક એવા દ્રશ્યો બતાવીશું કે જ્યાં ખુલ્લે આમ દારૂની હાટડીઓ ચાલી રહી છે. આ દ્રશ્યો શાપર વેરાવળમા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ધમધતી દેશી દારૂની હાટડીઓના છે જ્યાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. ત્યારે આંખ આડા કાન કરતી પોલીસ અહીં પણ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી હોય તેવી સ્થિતિ જોવા મળી. તો નવસારીમાં બરવાળા જેવી સ્થિતિ ન સર્જાય એ માટે તેલડા ગામના યુવાનોએ ઝુંબેશ ઉઠાવી છે. તેલડા ગામના યુવાનો જાતે ગામમાં દારૂબંધી કરાવશે જે અંગે પોલીસનો સહકાર માંગવા આવેદન આપ્યું છે.તો બીજી તરફ જયારે VTV ની ટિમ ભાવનગરના આડોડીયાવાસમાં પહોંચી તો ત્યાં પણ ગોળના ખાલી ડબ્બા મળી આવ્યા. સુરતના તાપીની વાત કરીએ તો તાપી નદી કિનારે જમીનમાં દાટેલા દેશી દારૂના પીપ મળી આવ્યા. તાપી જિલ્લા પોલીસ પણ સફાળી જાગી હોય તેમ પોલીસે વ્યારા તાલુકાના કપુરા ગામે દારૂની ભઠ્ઠી ચલાવાના અલગ-અલગ 5 કેસ દાખલ કર્યા.તો અરવલ્લીના ધનસુરામાં દેશી દારૂના બેરોકટોક ધમધમી રહેલા દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે વાયરલ વિડીયોના સ્થળ પર VTVની ટિમ પણ પહોંચી હતી.
રાજ્યામાં પડ્યા લઠ્ઠા કાંડના પડઘા, પોલીસ તંત્ર થયુ દોડતુ
બોટાદમાં લઠ્ઠાકાંડનો ઘટસ્પોટ થયો હતો. આ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યનુ પોલીસ તંત્ર દોડતુ થયુ હતું. રાજ્યના તમામ મહાનગરપાલિકાના પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પડ્યા હતા. વડોદરા, સુરત, રાજકોટ શહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા કરી દેશી દારૂ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના ઈન્ચાર્જ નિર્લિપ્ત રાયે પણ તપાસ અર્થે બરવાળામાં ધામાં નાખ્યા છે. તો આ તરફ બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં SP દ્વારા મહિલા ASI યાસ્મીન સસ્પેન્ડ કરાયા. દારૂ મામલે હપ્તાના સેટિંગ કરવા અંગે ઓડિયો વાયરલ થયો હતો જે મામલે પહેલા ASIની બદલી કરાઈ હતી અને હવે જિલ્લા પોલીસ વડાએ મહિલા ASIને સસ્પેન્ડ કર્યા.
હવે સવાલ એ છે કે ઝેરના વેપાર સામે જિંદગી કેમ છે લાચાર? કેમિકલકાંડના સુત્રધારો કેવી રીતે છટકી જાય છે.?બેખૌફ બનતી દારૂની હાટડીઓ ક્યાં સુધી ચાલતી રહેશે.?.પ્રતિબંધિત કેમિકલનું વેચાણ ક્યારે અટકશે?