મહત્વનું છે કે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ત્રણ વન ડેની શ્રેણીનું આયોજન થયું છે, જેમાં શ્રેણીની બીજી વનડે મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાનમાં રમાઈ હતી, આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 336 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 337 રન કરીને 6 વિકેટે ભારતને હરાવી દીધું.
ભારતની શરૂઆત સારી નહોતી થઈ
ભારતની ઇનિંગમાં આજે ઓપનર રોહિત શર્માએ સારી શરૂઆત કરવાની કોશિશ કરી હતી, તેણે 25 બોલમાં 25 રન નોંધાવ્યા હતા, પણ પોતાની ઝડપી શરૂઆત માટે જાણીતો તેનો સાથીદાર શિખર ધવન આજે આઉટ ઓફ ફોર્મ જણાઈ રહ્યો હતો અને 17 બોલ રમ્યા પછી પણ માત્ર 4ના સ્કોર પર ચોથી ઓવરમાં સ્ટોક્સના હાથે ઝીલાઈ ગયો હતો. આમ ભારતે માત્ર 9 ના સ્કોર પર જ પહેલી વિકેટ ગુમાવી દીધી હતી.
આના પછી કેપ્ટન કોહલી સાથે મળીને રોહિતે સ્કોર બોર્ડ આગળ ધપાવ્યું હતું પણ આ ભાગીદારી વધુ જામે તે પહેલા સેમ કરન ત્રાટક્યો હતો અને 37ના સ્કોર પર રોહિતના રૂપમાં ભારતે બીજી વિકેટ ગુમાવી હતી. આના પછી ચોથા નંબરે આવેલા કેએલ રાહુલે કેપ્ટનના ભરોસાને પુરવાર કરી દેતી બેટિંગ કરી હતી, અને શતક મારીને ટીકાકારોના મોઢા સીવી દીધા હતા. ભારતે 158 ના સ્કોર પર કેપ્ટન કોહલી(66)ના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી, જેના પછી વિકેટકીપર પંતની સાથે મળીને રાહુલે સ્કોર બોર્ડને ધપાવતું રાખ્યું હતું.
પંતનું T20નું ફોર્મ યથાવત, 40 બોલમાં કર્યા 77 રન
રિષભ પંતે આવતાની સાથે જ ફટકાબાજી શરૂ કરી હતી અને 40 બોલમાં 77 રનની ઈનિંગ્સ રમી હતી, 45મી ઓવરમાં રાહુલ 108 ના સ્કોર પર આઉટ થયા પછી 47મી ઓવરમાં પંત પણ 308ના સ્કોર પર આઉટ થયો હતો. જેના પછી હાર્દિક પંડયા અને કુણાલ પંડયાએ અનુક્રમે 35 અને 12 રન મારીને અણનમ રહ્યા હતા અને ભારતે 336 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જો કે ઇંગ્લેન્ડે શરૂઆતથી જ ઝડપી બેટિંગ કરતાં વિશાળ સ્કોરનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતુ, ઓપનર જેસન રૉયના 52 બોલમાં 55 રન અને બીજા ભાગીદાર જોની બેરિસ્ટોના 112 બોલમાં 124 રનોના શતકીય પ્રદર્શનથી ઇંગ્લેન્ડે શરૂઆતથી જ મજબૂત પ્લેટફોર્મ ઊભું કરી દીધું હતું, અને ભારતીય બોલરોને શરૂઆતના સમયમાં જ વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડને દબાણ હેઠળ લાવી દેવામાં નિષ્ફળતા મળી હતી.
ચાર વિકેટના નુકસાન પર ઇંગ્લેન્ડે પાર પાડ્યું લક્ષ્ય
ભારતને પહેલી સફળતા રૉયને રન આઉટ કરવામાં સફળતા મળી હતી, અને 110ના સ્કોરે ઇંગ્લેન્ડે પહેલી વિકેટ ગુમાવી દીધી, જેના પછી આવેલા બેન સ્ટોકસે પણ બેરિસ્ટો સાથે મળીને મજબૂત પાર્ટનશીપ કરતાં 99 રન ફટકાર્યા હતા, પણ સેન્ચ્યુરી પૂરી કરી શકે તે પહેલા જ 36 મી ઓવરમાં 285ના સ્કોર પર તે ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો અને પંતના હાથમાં કેચ આપીને વિકેટ ગુમાવી બેઠો હતો. જેના પછી તરત જ 37મી ઓવરના પહેલા બોલે જ બેરિસ્ટો પણ 124 ના અંગત સ્કોર પર કૃષ્ણાનો શિકાર બનીને કેપ્ટન કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જો કે આ પછી બટલર પણ કૃષ્ણાના હાથે ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો.