તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્સનના મામલે આહિર સમાજ દ્વાર કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આહિર સમાજ બાદ કારડીયા રજપૂત સમાજ પણ બારડના સમર્થનમાં આવ્યુ છે. ભગવાન બારડનું સસ્પેન્સ પરત ખેંચવા કલેક્ટરે આવેદનપત્ર આપ્યુ છે. આ ઉપરાંત સુત્રાપાડાના કોળી સમાજ દ્વારા પણ બારડના સમર્થનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આહીર સમાજ બાદ અન્ય સમાજો પણ ભગવાન બારડના સમર્થનમાં આવી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, તાજેતરમાં ભાજપ સરકાર દ્વારા તાલાલા વિસ્તારના ધારાસભ્યને અન્યાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવતા તેના વિરોધમાં વેરાવળમાં આહિર સમાજનું વિશાળ સંમેલન યોજાયુ હતું. આહિર સમાજના આ શક્તિ પ્રદર્શનમાં સમગ્ર ગુજરાતના આહિર સમાજના આગેવાનોએ સામુહિક રીતે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી કિન્નાખોરી સામે વિરોધ દર્શાવી આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપને મત નહીં આપવાનો ઠરાવ કર્યો હતો.
આ સંમેલનમાં ભગવાન બારડે ભાજપને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો કે હજુ કંઈ બાકી હોય તો પણ કરજો, ભગવાન બારડે આક્ષેપ કર્યો હતો કે તેમને થયેલી સજા મોકૂફ રહી હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, કોર્ટે તેમને ખનીજ ચોરીના જૂના કેસમાં 2 વર્ષ કરતા વધુ જેલની સજા ફટકારી હતી, આ મામલે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે.
બારડે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું, કે હું સત્તાનો ભુખ્યો નથી, હું પ્રેમનો ભુખ્યો છું, રાજકારણ મારા લોહીમાં છે, હું ગુનેગાર હોવ તો મારો સમાજ સજા કરે, મને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે, આ સરકાર કિન્નાખોરીવાળી છે. કોર્ટનો ચુકાદો મે વાંચ્યો હતો મને ઉપરની અદાલતમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય મળ્યો હતો, તેમ છતાં રવિવારે રજાના દિવસે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, આ સંમેલનમાં કોંગ્રેસના વિક્રમ માડમ, અમરીશ ડેર, ઉપરાંત આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા
ઉલ્લેખનીય છે કે, 7 જેટલી લોકસભા બેઠકો પર આહીર સમાજ પ્રભુત્વ ધરાવે છે અને આજના સંમેલનમાં આગામી ચૂંટણીમાં ભાજપને સબક શિખવાડી દેવાનું નક્કિ કરાયુ છે, અને પુરા સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.