ગુજરાતી ભાષાને લઇને ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે બે જૂથમાં વહેચાયા. આથી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ગુજરાતી ભાષાના સમર્થનમાં ઉતર્યું છે.
ગુજરાતી ભાષાને લઇને હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ
અનિલ કેલ્લા સહિતના સભ્યો ગુજરાતી ભાષાના સમર્થનમાં
રાજ્યપાલને મળી ગુજરાતીમાં સુનાવણી કરવાની માંગ કરશે
ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ રાજ્યપાલને લખેલા પત્રને લઇને હવે વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે ગુજરાતી ભાષાને લઇને ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ સામે આવ્યો છે. વિવાદ બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મેદાને આવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સહિતના સભ્યો દ્વારા કાઉન્સીલને પત્ર
આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન સહિત કેટલાંક સભ્યોએ કાઉન્સિલને પત્ર લખ્યો છે. તમને જણાવી દઇએ કે, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના કેટલાક સભ્યો ગુજરાતી ભાષાના સમર્થનમાં છે. ત્યારે તેઓ રાજ્યપાલને મળી હાઇકોર્ટમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં સુનાવણી કરવાની માંગ કરશે.
ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ
નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના સભ્યોએ પત્રમાં જણાવ્યું છે કે, 'રાજ્યમાં આશરે એક લાખથી વધુ વકીલો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા છે. જેમાંથી આશરે પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતાં હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી. પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાની સુપ્રીમ કોર્ટ અને સરકારની પહેલ કયાંક અવરોધ પામે છે.'
અનુચ્છેદ 384 (2) હેઠળ રાજ્યપાલને ગુજરાતીમાં સુનાવણી કરવાની મંજૂરી આપવાની સત્તા
વધુમાં તેઓએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાત જિલ્લા કે તાલુકા કક્ષાએ વકીલાત કરતાં વકીલો દ્વારા સેશન્સ કેસ કે દાવો ચલાવ્યો હોવાથી તેઓને તે કેસ અંગેની માહિતી વધુ હોય છે. જો જિલ્લા-તાલુકા અદાલતના વકીલોને જો હાઇકોર્ટમાં માતૃભાષામાં એટલે કે, ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો તેમજ ઝડપી ન્યાય ઉપલબ્ધ થઇ શકે.' તમને જણાવી દઇએ કે, અનુચ્છેદ 384 (2) હેઠળ રાજ્યપાલ પાસે ગુજરાતીમાં સુનાવણી કરવાની મંજૂરી આપવાની સત્તા રહેલી છે.