અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પાસે એક માસ અગાઉ પડેલા ભૂવાનું હજુ સુધી સમારકામ કરવામાં ન આવતા તંત્ર અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
અમદાવાદમા ભૂવો પડવાનો સિલસિલો યથાવત
બાપુનગર ચાર રસ્તા નજીક પડ્યો ભૂવો
તંત્રની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ
અમદાવાદમા છાશવારે પડતા ભૂવાને લઈને તંત્રની આબરૂ ધૂળધાણી થાય છે. આ મામલે તંત્ર અનેક વખત લોક રોષનો ભોગ પણ બની ચૂક્યું છે. આવી સ્થિતિ વચ્ચે હજુ તો ચોમાસાની ઋતુનું ઘણું છેટું છે તેવામાં અમદાવાદમાં ભુવા પડવાની શરૂઆત થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના બાપુનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. એક મહિના પહેલા પડેલા ભૂવાના સમારકામની હજુ પણ રાહ જોવાઈ રહી હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 17, 2023
સવાર સાંજ ટ્રાંફિક જામના દ્રશ્યો
મહત્વનું વાત એ છે કે વિકાસની વાતો કરતા અમદાવાદમાં કોર્પોરેટરની ઓફિસ પાસે જ ભુવો પડ્યો હોવા છતાં લાંબા સમયથી તેના રિપેરીંગનું મુહૂર્ત આવ્યું નથી. આમ મેગા સીટી કહેવાતા અમદાવાદમા જ તંત્રની આવી કામગીરીથી સ્થાનીકોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. ભૂવાના કારણે સવાર સાંજ ટ્રાંફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પરિણામે લોકો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. છતાં પણ તંત્રની આંખે અંધાપો હોય તેમ લોકોની હાડમારી તંત્રને દેખાતી નથી.
ભૂવાનું સમારકામ કરવાની ફુરસદ નથી
અમદાવાદ કોર્પોરેશન દ્વારા બેરિકેટ મૂકી સંતોષ માની લેવામા આવ્યો છે. સ્થાનિકો ચર્ચાતી વિગત અનુસાર કોર્પોરેશનના અધિકારીઓ પાસે મોટી ઇવેન્ટ કરવાનો સમય છે પરંતુ મોતનું મો ફાડીને ઉભેલા ભૂવાનું સમારકામ કરવાની ફુરસદ નથી. કોર્પોરેટરની ઓફિસ પણ નજીક છે તેમ છતાં કામ ન થતું હોવાનું જણાવી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા અકસ્માત સર્જાય તેવી રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. રાહદારીઓની માંગ છે કે સત્વરે કોર્પોરેશન દ્વારા આ ખાડો પુરવામાં આવે.
સળગતા સવાલો
જાહેર રસ્તાઓ પર મસમોટા ખાડાઓ AMCને દેખાતા કેમ નથી?
શું બેરિકેટ લગાવીને જ કોર્પોરેશનની જવાબદારી પૂર્ણ થઈ જાય છે?
કેમ બેરિકેટ લગાવીને કામગીરી છોડી દેવામાં આવી?
કોર્પોરેટરની જ ઓફિસની પાસે જ ખાડો પડ્યો છતાં કામગીરીમાં ઢીલ કેમ?
નબળી ગુણવત્તા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરતા કોન્ટ્રેક્ટર સામે કાર્યવાહી ક્યારે?
અવારનવાર રસ્તાઓ પર ખાડા પડે છતાં અધિકારીઓના આંખ આડા કાન કેમ?