નીલકંઠવર્ણીના નિવેદન પર મોરારિબાપુના નિવેદન અને ત્યાર બાદ તેમની માફીની માંગને લઇને દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને વિવાદનો અંત લાવવા હરિભક્તો અને ધર્મપ્રેમીઓને હાંકલ કરી છે.
કથાકાર મોરારિબાપુના નીલકંઠવર્ણી વાળા નિવેદન બાદ ચોતરફ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેને લઇને મોરારિબાપુએ મિછ્છામી દુક્કડમ કહીને માફી પણ માંગી હતી. પરંતુ તે છતા પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી હતી. સ્વા. સંપ્રદાયો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિબાપુ ભગવાન સ્વામિનારાયણની નામજોગ માફી માગે. જોકે આ વિવાદ મોટું સ્વરૂપ લેતા BAPS અને વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ શાંતિની અપીલ કરી છે.
BAPSએ ભક્તોને કરી શાંતિની અપીલ
બીએપીએસ (Bochasanwasi Akshar Purushottam Sanstha) દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે, ધાર્મિક લાગણી દુભાયા મુદ્દે જે બન્યું તે બનવાકાળ હતું તે બની ગયું. અમે સૌ પ્રત્યે, પ્રેમ અને આદર ધરાવીએ છીએ. જેને લઇને સંપ્રદાયના તમામ સંતો, ભક્તો અને તમામ ધર્મપ્રેમી ભાવિકો, મહંતો અને આચાર્યોને અમારી નમ્ર પ્રાર્થના અને અપીલ છે કે આપણે પરસ્પર વૈમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઇએ, સનાતન હિન્દુ ધર્મની એકતા માટે, ધર્મના યત્કિંચિત સેવાકાર્યો અને ઉત્કર્ષમાં સૌ સાથે મળીને પ્રવૃત્ત થઇએ. પરસ્પર આદર રાખીને સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઇએ. તમામને અમે શાંતિની અપીલ કરીએ છીએ.
સનાતન ધર્મના તમામ ધર્મપ્રેમીઓને શાંતીની અપીલઃ વડતાલ સંસ્થાન
વડતાલ સંસ્થાને પણ એક નિવેદન બહાર પાડીને આ વિવાદનો અંતલાવવા અપીલ કરી છે. જેમાં તેમણે જણાવાયું છે કે, મોરારિબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવવો જોઈએ. આ વિવાદને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના પરિપ્રેક્ષ્યમાં વિચારતા વધુ વિખવાદ ન થાય તે તમામના હિતમાં છે. આ વિવાદનો અંત લાવવા માટે ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેવા તમામ ધર્મપ્રેમીઓને નમ્ર અપીલ છે.