BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ ભીષણ આગ અંગે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે લોકો અને પ્રાણીઓની રક્ષા થાય અને તેને રાહત થાય. ત્યારે એ પણ હકીકત છે કે આ પ્રકારની આફતોમાં વિશ્વના કરોડો લોકો પ્રાર્થના કરતા હોય છે. ત્યારે મહંત સ્વામી મહારાજની પ્રાર્થના બાદ ઓસ્ટ્રેલિયામાં વરસાદ થયો હોવાનો ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મામલે BAPSએ નિવેદન આપ્યું છે.
BAPSએ આ અંગે કહ્યું છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાર્થના અંગે જે વિવાદ કરવામાં આવ્યો છે તેવો કોઈ દાવો સ્વામીજી દ્વારા કે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ કર્યો નથી અને સ્વામી દ્વારા દાવાનળ શમ્યો છે. કેટલાક ભક્તોએ વ્યક્તિગત રીતે આ પ્રકારની વાત કરી હોય તો તે તેની અંગત બાબત છે. તેને વિવાદનો મુદ્દો ન બનવા દેવામાં આવે તેવી વિનંતી છે.
રમેશ સવાણીએ શું કરી હતી પોસ્ટ?
નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણીએ ફેસબુક પર IPS અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમણે ફેસબુક પરના અપના અડ્ડા નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ પર મહંત સ્વામી પર સ્વા.સંપ્રદાયના સાધુના દાવા સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, પ્રગટ બ્રહ્મસ્વરૂપનું ગ્લેમર ઊભું કરવામાં કંઇક તો મર્યાદા રાખો. તેમની પોસ્ટને કેટલાક લોકો દ્વારા શેર કરવામાં આવી છે. તો કેટલાકે કોમેન્ટ પણ કરી છે.
આર. જે સવાણીએ મુકેલી પોસ્ટથી પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી ‘સુરતમાં માળા કરે અને ઓસ્ટ્રેલિયામાં વરસાદ પડે ?’ આ ઉપરાંત સવાણીએ આ પોસ્ટમાં એવું પણ જણાવ્યું છે કે, મહંત સ્વામીએ માળા કરી હોત તો નોટબંધી વેળાએ 150 થી વધુ માણસોના મૃત્યુ થયા નહોત.
BAPS Swaminarayan Sanstha નામના ફેસબુક પેઈઝ પર પણ આ વાત પોસ્ટ કરી હતી. અંગ્રેજીમાં મુકાયેલી પોસ્ટ આવી છે. "Swamishri prays for a rapid end to the deadly Australian bushfire by turning the rosary from 10:53 to 11:32 pm" જેનો ગુજરાતી અર્થ 'સ્વામીશ્રીએ ઓસ્ટ્રેલિયામાં લાગેલી ભયાનક આગનો ઝડપથી સુખદ અંત લાવવા 10.53થી 11.32 PM સુધી માળા ઝપી છે. (પ્રાર્થના કરી છે)'
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી. આ આગના કારણે 48 કરોડ વન્યજીવના મોત નિપજ્યા છે. આગના કારણે સૌથી ખરાબ પ્રભાવ કોઆલા રિંછ પર પડ્યો છે. ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-ઉત્તરી વિસ્તારમાં સૌથી વધુ કોઆલા રિંછ રહે છે. જેની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. ચાર મહિના પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કંટ્રોલ નથી આવી શક્યો. આ આગના કારણે 15થી વધુ લોકોના પણ મોત નિપજ્યા છે. તો બીજી તરફ 1200થી વધુ મકાનો સળગીને રાખ થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાના સિડની અને તેની આસપાસના જંગલ વિસ્તારોમાંથી પ્રવાસીઓ અને અન્ય લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. બીજી તરફ હેલિકોપ્ટર અને વિમાન તેમજ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવાઈ રહી છે. જોકે, થોડા અંશે જંગલો પર વરસાદ પણ થયો હતો.