કોરોના સંકટમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોની સેલરી ઘટી ગઈ છે તો કેટલાક લોકોની નોકરી જતી રહી છે અને જ્યારે લોનના હપ્તા ભરવાની તારીખ આવે છે ત્યારે હાલત વધુ ખરાબ થઈ જાય છે. આ મુશ્કેલ સમયમાં કોઈએ પોતાની એફડી તોડાવી તો કોઈએ પીએફના પૈસા કાઢીને ગુજરાન ચલાવ્યું છે. આ પહેલાં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી બેવાર લોન મોરટોરિયમથી રાહત મળી હતી, પરંતુ હવે એ પણ 31 ઓગસ્ટે ખતમ થવાનું છે. એ પછી તમે ઈએમઆઈ કઈ રીતે ભરશો, એ સૌથી મોટો સવાલ છે. જેથી લોકોને રાહત આપવા માટે રિઝર્વ બેંક એક સ્કીમ લાવવાની તૈયારી કરી રહી છે, જેનું નામ છે વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ. ચાલો જાણીએ શું છે આ સ્કીમ.
કોરોનાકાળમાં લોન ચૂકવવાની ટેન્શન થશે ખતમ
આરબીઆઈ ગ્રાહકોને આપી શકે છે આ સુવિધા
2 વર્ષ સુધી EMIની ચિંતા નહીં રહે
શું છે વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગ સ્કીમ?
આ યોજના અંતર્ગત બેંકો હવે તેમના ગ્રાહકોની લોનની ચુકવણીના શેડ્યૂલમાં ફેરફાર કરી શકશે, જેનો અર્થ છે કે બેંકો પાસે પણ ગ્રાહકની લોનની અવધિ વધારવાનો અને પેમેન્ટ હોલિડે આપવાનો વિકલ્પ હશે. એવા પણ અહેવાલ છે કે, હોમ લોન, એજ્યુકેશન લોન, કાર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન અને સિક્યોરિટીઝ સામેની લોન જેવી રિટેલ લોનના ઇએમઆઈની ચુકવણી માટે બેન્કો ગ્રાહકોને વિવિધ વિકલ્પો આપી શકે છે. આ સિવાય ગ્રાહકની EMI પણ થોડા મહિના માટે ઘટાડી શકાય છે અથવા થોડા મહિના માટે મુલતવી રાખવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર, લોનમાં છૂટ મહત્તમ 2 વર્ષ સુધી લંબાવી શકાય છે, એટલે કે ગ્રાહકોને બે વર્ષ સુધી ઈએમઆઈ ન ભરવાનો વિકલ્પ મળી શકે છે. આ સિવાય બેંકો પણ લોનના વ્યાજના દર નક્કી કરી શકે છે, કયા ગ્રાહકને કેટલી છૂટ મળવી જોઈએ, તેનો નિર્ણય પણ બેંક કરી શકે છે.
કોને થશે ફાયદો
લોન રીસ્ટ્રક્ચરિંગથી સૌથી વધુ ફાયદો એવા ગ્રાહકોને થશે, જેમના પગારમાં કોરોનાદરમિયાન ઘટાડો થયો છે અથવા જેમની નોકરી જતી રહી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, લોન રીસ્ટ્રક્ચરિંગ સ્કીમના કારણે ગ્રાહકો ડિફોલ્ટરમાં નહીં આવે અને લોન પણ એનપીએમાં ગણાશે નહીં.
મોરટોરિયમથી અલગ છે લોન રીસ્ટ્રક્ચરિંગ
જો તમે તમારી લોન મોરટોરિયમ અને લોન રીસ્ટ્રક્ચરિંગને એક જેવું માની રહ્યો છો તો એ જાણવું જરૂરી છે કે, બંનેમાં ઘણું અંતર છે. લોન મોરટોરીયમ હેઠળ 6 મહિના સુધી હપ્તા ન ભરવાની છૂટ મળી હતી, પરંતુ આ દરમિયાન વ્યાજને તમારી મૂળ રકમમાં એડ કરવામાં આવ્યો છે. જ્યારે લોન રીસ્ટ્રક્ચરિંગ સ્કીમમાં બેંકોને વધુ અધિકાર મળ્યા છે. બેંકો જાતે નક્કી કરી શકશે કે, તમારી ઈએમઆઈ ઘટાડવી છે કે લોનની અવધિ વધારવી છે. ફક્ત વ્યાજ વસૂલવાનું છે અથવા વ્યાજદરને એડજસ્ટ કરવાનો છે. સૌથી અગત્યની બાબત એ છે કે, લોન રીસ્ટ્રક્ચરિંગ વખતે લોનની મૂળ રકમમાં કોઈપણ પ્રકારની છૂટ મળે તેવી આશા નથી.