બેંક ઑફ બરોડા, પંજાબ નેશનલ બેંક અને એસબીઆઇ બેંક કેટલાક નિયમોમાં કરશે ફેરફાર, 1લી ફેબ્રુઆરીથી થશે અમલીકરણ
1લી ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રનું બજેટ
બેન્કિંગના કેટલાક નિયમોમાં થશે ફેરફાર
SBI,BOB અને PNBએ નિયમોમાં કર્યો બદલાવ
1 ફેબ્રુઆરી 2022થી બેન્કિંગ સહિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જે તમારા ખિસ્સા પર પણ અસર કરશે. ફેબ્રુઆરી મહિનામાં બેંક ઓફ બરોડા, SBI બેંક અને PNB બેંક ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલાશે. સાથે જ 1 ફેબ્રુઆરીથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થશે.
વળી 1લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. કરદાતાઓ તેમજ ઉદ્યોગપતિઓ અને નોકરીયાત લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. બિઝનેસ જગતને આશા છે કે સરકારે કોવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન અર્થતંત્રને વેગ આપવામાં અને કારોબાર વધારવા માટે મદદ કરે . આથી બજેટ બાદ પણ ઘણા નિયમોમાં ફેરફાર આવી જશે.
ટ્રાન્સેક્શનની મર્યાદા વધી
SBI અનુસાર, IMPS દ્વારા રુ.2 લાખથી રુ. 5 લાખ વચ્ચેના નાણાં ટ્રાન્સફર કરવા પર રુ. 20 + GST ચાર્જ લાગશે. ઑક્ટોબર 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી. રિઝર્વ બેંકે IMPS દ્વારા કરવામાં આવતા વ્યવહારોની મર્યાદા વધારી દીધી હતી. હવે 2 લાખ રૂપિયાના બદલે તમે એક દિવસમાં 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકશો.
બેંક ઓફ બરોડાના નિયમો બદલાશે
1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાના ગ્રાહકોના ચેક ક્લિયરન્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. હવે 1 ફેબ્રુઆરીથી ચેક પેમેન્ટ માટે ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે ચેકથી સંબંધિત માહિતી મોકલવાની રહેશે, તો જ ચેક ક્લિયર થશે. આ ફેરફાર રૂ. 10 લાખથી વધુના ચેક ક્લિયરન્સ માટે લાગુ પડે છે.
PNBએ વધારી દંડની રકમ
પંજાબ નેશનલ બેંક જે નિયમો બદલવાની છે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જો તમારા ખાતામાં પૈસા ન હોવાને કારણે હપ્તો અથવા રોકાણ નિષ્ફળ જાય છે, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. જે અત્યાર સુધી 100 રૂપિયા હતો.