એવું ઘણી વાર થાય છે કે જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો અને કોઇ કારણસર પૈસા બહાર નીકળતા નથી અને તેમ છતાં તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે તેને ફેઇલ્ડ એટીએમ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે.
આવા કિસ્સામાં તમારા ખાતામાંથી ઉધારવામાં આવેલ પૈસાનું રિફંડ તમને આપોઆપ મળી જાય છે અને જો આવું ન થાય તો તમે કસ્ટમર કેરને ફોન કરીને અથવા મેઇલ દ્વારા ફરિયાદ કરી શકો છો અને તેના આધારે તમને રિફંડ ચૂકવવામાં આવે છે.
આરબીઆઇના ડેટા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૮માં આ પ્રકારના ૧૬ હજાર કેસ નોંધાયા હતા, પરંતુ શું તમે જાણો છો કે બેન્ક જો રિફંડ આપવામાં વિલંબ કરે તો તેને ફાઇન ચૂકવવો પડે છે? આરબીઆઇના નિયમ અનુસાર જે દિવસે તમે ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ કરો છો અને તેના વર્કિંગ ડેમાં જો તમને રિફંડ ન મળે તો બેન્કે પ્રતિ દિન રૂ. ૧૦૦ના હિસાબે તમને પેનલ્ટી ચૂકવવી પડે છે.
જો તમારે ફરિયાદ કરવી હોય તો ૩૦ દિવસની અંદર તમારે ફેઇલ્ડ ટ્રાન્ઝેક્શન અંગે ફરિયાદ કરવાની રહે છે, જોકે બેન્ક દ્વારા એવી કમ્પ્યૂટરાઇઝ્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે ફેઇલ્ડ એટીએમ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં ૨૪ કલાકમાં તમને રિફંડ મળી જાય છે.