જો બેંકથી જોડાયેલા કામો બાકી છે તો પતાવી દો કેમકે પગાર સંશોધન બેઠક નિષ્ફળ થયા પછી ઇન્ડિયન બેંક એસોસિયેશનએ આ મહિને બીજી વખત બેંક હડતાળની જાહેરાત કરી છે.
આઇબીએ તરફથી ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીના બેંકમાં હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા ૮ જાન્યુઆરીએ ભારત બંધમાં પણ ૬ બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા. આ દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી.
આ વખતે બેંક હડતાળનો સમય ખૂબ જ મહત્વનો છે. ૧ ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા એટલે કે ૩૧ જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઇને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે.
તમને જણાવી દઇએ કે, ૨ ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાળને કારણે સતત ૩ દિવસ સુધી બેંક બંધ રહેવાથી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બેંક બંધ રહેવાને કારણે એટીએમમાં પણ કેશની અછત પડી શકે છે. આ સ્થિતિમાં આર્થિક મુશ્કેલી ન પડે તે માટે ૩૧ તારીખ પહેલા જ મહત્વના કાર્યો પૂરા કરી લેવા.