ભારતમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે. આ મુદ્દે બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેને ટિપ્પણી કરતા રવિવારે કહ્યું હતું કે ભારતે આ પગલું ન ભરવું જોઈએ. આમ કરવાથી પાડોશી દેશોની સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે.
અયોધ્યામાં શ્રીરામ મંદિરનો શિલાન્યાસ 5 ઓગસ્ટે થઇ રહ્યો છે. આ મુદ્દે બાંગ્લાદેશના રાજનૈતિક વિશેષજ્ઞો કહે છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના વિપક્ષીઓ માટે એક રાજકીય મુદ્દો બની જશે.
બંને દેશોના સંબંધો ખરાબ ન કરવા જોઈએ
બાંગ્લાદેશના વિદેશમંત્રી મોમેને મંદિરના નિર્માણ મુદ્દે કહ્યું હતું કે બંને દેશો પરસ્પર સંબંધોને વેડફવા દેવા માંગતા નથી. આ જ કારણ છે કે ભારતે એવા કોઈપણ ડેવલમેન્ટને ટાળવું જોઈએ, જે બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં અણબનાવ પેદા કરે.
ભારત આ ડેવલપમેન્ટને પરવાનગી ન આપે: એકે અબ્દુલ મોમેન
હિન્દુ અખબારે મોમેનના નિવેદનને ટાંકીને લખ્યું છે કે મોમેને કહ્યું હતું કે અમે આ મુદ્દાની અમારા પરસ્પર સંબંધો ઉપર અસર થવા નહીં દઈએ, જો કે અમે ભારતને એવી વિનંતી પણ કરીએ છીએ કે આપણી વચ્ચેના નિકટ અને ગાઢ સંબંધોમાં અણબનાવ સર્જાય તેવી કોઈ પણ પ્રવૃત્તિને ભારત રોકે. બંને દેશોએ આની કાળજી લેવાની જરૂર છે અને હું કહેવા માંગુ છું કે બંને દેશોએ આ દિશામાં પહેલ કરવી જોઈએ જેથી કોઈપણ પ્રકારના વિક્ષેપને અટકાવી શકાય.
પાકિસ્તાન સાથે વાતચીત થઇ હોવાના દાવાને ફગાવી દીધો
મોમેને કહ્યું કે સમાજના તમામ વર્ગમાં પરસ્પર સારા સંબંધોને પ્રોત્સાહન આપવું અને કોમી એખલાસને અખંડ રહે તે સુનિશ્ચિત કરવું એ બંને દેશોની જવાબદારી છે કેમ કે ફક્ત સરકાર આવી બાબતોની પહેલ કરી શકે તેમ નથી. વિદેશ પ્રધાન મોમેને વડા પ્રધાન શેખ હસીના અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ગત સપ્તાહે ટેલિફોન પર વાતચીત કરી હતી તે દાવાને નકારી કાઢ્યો હતો.