ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઘણા વર્ષથી ગાઢ રહ્યા છે. વર્તમાનમાં જ્યાં એક તરફ ચીન સાથે ભારતનો ભૂમિવિવાદ ચાલી રહ્યો છે ત્યાં બાંગ્લાદેશ ધીમે ધીમે ચીન અને પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે એવા અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ચાર-ચાર મહિનાથી ભારતની ઉચ્ચાયુક્તને એપોઇન્ટમેન્ટ નથી આપી રહ્યા.
ભારતીય હાઈકમિશનર રીવા ગાંગુલી ચાર મહિનાથી નથી મળી રહી
ચીનની કંપનીને બાંગ્લાદેશ આપી રહ્યું છે એરપોર્ટના પ્રોજેક્ટ
પાકિસ્તાન અને બાંગ્લાદેશના વડાપ્રધાને એકબીજા સાથે કરી ટેલિફોનિક વાતચીત
બાંગ્લાદેશના એક અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ચાર મહિનાથી પ્રધાનમંત્રી શેખ હસીના ભારતીય હાઈકમિશન દ્વારા કરવામાં દરખાસ્ત છતાં મુલાકાત કરી રહ્યા નથી. ભોરેર કાગોજ નામના અખબારે પોતાના અહેવાલમાં કહ્યું છે કે વર્ષ 2019થી જ્યારથી હસીના બીજી વાર વડાપ્રધાન બન્યા છે ત્યારથી ભારતીય પ્રોજેક્ટ ધીમા પડી ગયા છે જ્યારે ચીનના પ્રોજેક્ટને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
મીડિયા અહેવાલમાં બાંગ્લાદેશ કઈ રીતે ધીમે ધીમે ચીન તરફ નમી રહ્યું છે તેના પર વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'ભારતની ચિંતા છતાં બાંગ્લાદેશે સીલહટમાં એરપોર્ટ ટર્મિનલનો ઠેકો ચીની કંપનીને આપી દીધો. ભારતીય હાઈકમિશનર રીવા ગાંગુલી ચાર મહિનાથી બાંગ્લાદેશના પીએમથી મળવા માટે અપોઈન્ટમેન્ટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નથી મળી રહી.
નોંધનીય છે કે સિલહટ ભારતની સરહદથી એકદમ નજીક છે અને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. MAG ઓસ્માનિયા એરપોર્ટ બનાવવા માટેનો પ્રોજેક્ટ ચીનની એક કંપનીને આપી દેવામાં આવ્યો છે. ભારતના ધ હિંદુ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય હાઈકમિશનર રીવા ગાંગુલી ચાર મહિનાથી બાંગ્લાદેશના પીએમથી મળવા માટે અપોઈન્ટમેન્ટ મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે શક્ય બની શક્યું ન હતું.
બીજી તરફ પાકિસ્તાન સાથે પણ બાંગ્લાદેશના સંબંધો મધુર થઇ રહ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના કાર્યાલય તરફથી આપવામાં આવેલ માહિતી પ્રમાણે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના વચ્ચે 15 મિનીટ સુધી ટેલિફોનિક વાતચીત ચાલી હતી.
નોંધનીય છે કે જ્યારે ભારતમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર અને નાગરિકતા સંશોધન કાયદો પસાર થયા બાદથી જ બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં ખટાશ આવવાની શરૂઆત થઇ હતી. બાંગ્લાદેશના નાગરિકોને પાછા મોકલી દેવામાં આવશે તેવા સમાચારો આવ્યા બાદથી જ અંદરખાને ખટપટ શરુ થઇ ગઈ હતી.