ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ત્યારે હવે સદારામબાપુની જગ્યાએ ગાદિપતિ તરીકે દાસબાપુની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને દાસબાપુ ટોટાણા આશ્રમની ગાદીએ બિરાજશે.
મળતી માહિતી મુજબ દાસબાપુ સદારામ બાપુના ભત્રીજા છે. જેઓ વર્ષોથી સદારામ બાપુ સાથે સેવક તરીકે રહ્યાં છે. .મહત્વનું છે કે,સદારામ બાપુએ બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરી સમાજ સુધારણાનું કાર્ય કર્યુ છે.
કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમે સંતો મહંતો અને પરિવારની વચ્ચે સંત સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો. ત્યારે હજારોની જનમેદની ટોટાણા આશ્રમ ખાતે ઉમટી હતી.
જો કે અગ્નિદાહ પહેલા સદારામબાપાની પાલખી યાત્રા કાઢવામાં આવી. આ પાલખી યાત્રામાં વિવિધ સમાજના સંતો ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, પૂર્વ રાજ્ય મંત્રી કેશાજી ઠાકોર, ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સીના ચેરમેન અણદાભાઈ પટેલ,સહિત તમામ સમાજના અગ્રણીઓ જોડાયા.
આ પાલખી યાત્રા કાંકરેજ તાલુકામા ભ્રમણ કરી ફરી આશ્રમ ખાતે લાવવામાં આવી. ત્યારબાદ સંત સદારામ બાપુને અગ્નિદાહ આપવામાં આવ્યો. મહત્વનું છે કે,કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
જો કે, મંગળવારે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી અને તેમને ટોટાણા ખાતે પોતાના આશ્રમ લાવવામાં આવ્યા હતા. જ્યાં સંત સદારામ બાપુએ 111 વર્ષની વયે મંગળવારે સાંજે દેહત્યાગ કર્યો હતો. બે લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કરવા ઉપરાંત હજારો લોકોને જીવનનો રાહ બતાવનાર સંત સદારામ બાપાના દેહાવસાનથી લાખો ભક્તો અનુયાયીઓમાં શોક વ્યાપી ગયો છે.