ઠંડી,ગરમી,વરસાદમાં હોય કે પછી કાદવ અને રણસાગર..જવાનો કરે છે દિલધડક પેટ્રોલિંગ અને દેશની રક્ષા, નડેશ્વરી માતા અહીં જવાનોની કરે છે સાક્ષાત રક્ષા
ઝીરો પોઈન્ટ પર જવાનો સાથે VTV
અહીં 24 કલાક BSF કરે છે દેશની રક્ષા
1965થી લઈને કાર્ગિલ યુદ્ધ સુધીનો અહીં જોવા મળે છે ઈતિહાસ
ભારત માટે બે દિવસ ખૂબ મહત્વના છે.એક તો 15 ઓગસ્ટ, 1947 કે જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો..અને બીજો 26મી જાન્યુઆરી 1950નો છે જ્યારે ભારતના બંધારણનો અમલ થયો.અને આ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ..આ દિવસે આપણે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઊજવણી તો કરીએ જ છીએ..પરંતુ તેની સાથે-સાથે એવી યાદગીરીઓને પણ વાગોળિએ જેમાં દેશના વીર જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનને તેની ઔકાત બતાવી હતી.આજે આપણે વાત કરવી છે કચ્છની એ બોર્ડર વિશે.જ્યાંથી ઈ.સ.1965માં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી..અને આજે પણ બીએસએફના જવાનો ઝીરો પોઈન્ટ પર અડિખમ રહી દેશની રક્ષા કરે છે.
આ રણપથ છે શૌર્યની નિશાની
જ્યારે.જ્યારે દુશ્મન દેશ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો..ત્યારે ત્યારે આપણા વીર જવાનોએ પાકિસ્તાનને તેની ઔકાત બતાવી.આવી જ શૂરવીરોની ભૂમી પર આજે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે.જ્યાં એકપણ કદમ દુશ્મનો ભારતમાં મુકી શક્યા નહોતા.કારણ કે, તેમના કદમને અહીં રોકવા માટે વીર જવાનો 1965માં પણ અડિખમ ઊભા હતા.અને આજે પણ અડિખમ ઊભા છે.અમારી ટીમ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટના ઝીરો પોઈન્ટ પર પહોંચી.આ બોર્ડર કચ્છ દરિયાઈ વિસ્તારથી લઈને બનાસકાંઠા અને રાજસ્થાનના રણ વિસ્તારથી છેક જમ્મૂ-કશ્મીરના બર્ફિલા પહાડો સુધી પથરાયેલી છે. બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે.અને આ રણરૂપી સમુદ્રમાં દૂરદૂર સુધી માણસ તો શું.જાનવર સાથે પણ મુલાકાત થવી મુશ્કેલ છે..ત્યાં કડકડતી થીજાવતી ઠંડીમાં..અંગારા ઝરતી ગરમીમાં અને ચોમાસામાં ગળાડુબ પાણીમાં આપણા વીર જવાનો 24 કલાક સરહદની રક્ષા કરે છે.
અનેક પડકારોને હસતાં મોઢે કરે છે સહન
અહીં નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યા હજુ પણ મોબાઈલ ટાવર કે મોબાઈલ નેટવર્ક નથી . જવાનોને દૂર સુધી ડ્યુટીમા મુકવામાં આવે છે જે એક એક મહિના સુધી ફોન કે અન્ય રીતે પરિવાર સાથે વાત પણ નથી કરી શકતા,, તેમ છતાં અનેક પડકારો અને ખરાબ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને કડકડતી ઠંડીમાં રેતીના ડુંગરો વચ્ચે દુશ્મન દેશ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખે છે.
નડેશ્વરી માતા અહીં જવાનોની કરે છે સાક્ષાત રક્ષા
વીટીવી ન્યૂઝની ટીમ અહીં બોર્ડર પર પહોંચતા પહેલા માઁ નડેશ્વરીના મંદિર પર પહોંચી.આ મંદિરમાં માતા નડેશ્વરી સાક્ષાત છે.કારણ કે, દેશની સરહદે આવેલ રક્ષક દેવીનો ઇતિહાસ અનોખો છે. એક દંતકથા મુજબ જૂનાગઢના રાજા નવઘણ જ્યારે પોતાની બહેન જાહલને પાકિસ્તાનના સિંધના રાજા હમીર સુમરાની કેદમાંથી છોડાવવા માટે નિકળ્યા હતા.ત્યારે નડાબેટમાં આશ્રય લીધો હતો.અને અહીં ચારણ આઈ વરુડી કુલડીમાં રા''નવઘણને અને સૈન્યને જમાડે છે અને ત્યાર બાદ માઁ વરુંડીના આશિર્વાદથી દરિયામાં ઘોડાના આગળના ડાંબલે પાણી અને પાછળના ડાબલે ધૂળ ઊડતી જાય છે, સિંધમાં હમીર સુમરાને હરાવી રા''નવઘણ નડાબેટમાં પરત આવી માતાજીની સ્થાપના કરે છે, અને પ્રથમ પૂજા કરી હોવાની લોકવાયકા છે. ત્યારથી દરિયાની જગ્યાએ રણ થઈ ગયો હોવાની લોકવાયકા છે.જોકે અહીં એવું પણ કહેવાય છે કે, ભારત-પાકિસ્તાનના યુદ્ધ વખતે માઁ નડેશ્વરીએ બીએસએફના જવાનોની રક્ષા કરી હતી.રણ મેદાનમાં રાત્રીના માતા નડેશ્વરી સાક્ષાત જ્યોત રૂપે પ્રગટ થયાં હતાં.અને સેનાના જેવાનોને રસ્તો બતાવ્યો હતો.આજે પણ કચ્છના રણમાં કોઈ જવાન ભૂલો પડે છે તો માઁ નડેશ્વરી તેને રસ્તો બતાવે છે.1965ના યુદ્ધ બાદા આજે પણ અહીં બીએસએફના જવાનો દ્વારા જ માઁ નડેશ્વરીની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
1965થી લઈને કાર્ગિલ યુદ્ધ સુધીનો અહીં જોવા મળે છે ઈતિહાસ
નડેશ્વરી માતાનો ઈતિહાસ જાણ્યા બાદ અમે દર્શન કરી ત્યાંથી આગળ વધ્યા.કારણ કે, અમારે હજૂ પણ 1965ના યુદ્ધબાદ બોર્ડર પર કેવો નઝારો છે.કેવી રીતે જવાનો ફરજ નિભાવે છે તેની દરેક ક્ષણને નિહાળવી હતી.જોકે ઝીરો પોઈન્ટ પર પહોંચીએ તે પહેલા નડાબેટ પર કરોડના ખર્ચે પર્યટકોને આકર્ષવા માટે તૈયાર કરાયેલ સ્થળ પર પહોંચ્યા.જ્યાં એક સમયે ઉજ્જડ રણ હતું.પરંતુ આજે હજારો લોકો માટે ફરવા અને બોર્ડર પર વીરોની ગાથાઓથી પરિચિત થવાનું સ્થળ બની ગયું છે.અહીં કારગીલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અને ટેન્કોનો નજીકથી પરિચય કરાવાઈ છે.આ સાથે જ ઈ.સ. 1965 અને 1971ના યુદ્ધમાં કેવી રીતે કચ્છની નડાબેટ બોર્ડર પરથી જવાનોએ દુશ્મનોને તેની ઔકાત બતાવી હતી.તેનો પણ ઈતિહાસ પર્યટકોને જાણવા મળે છે.પર્યટક સ્થળ તરીકે વિકસતા જ નડાબેટનું મહત્વ વધી ગયું છે.કારણ કે, દેશભરમાંથી અહીં પર્યટકો મુલાકાતે પહોંચે છે.અહીં પર્યટકોને પણ તમામ સવલતો મળી રહે.સાથે-સાથે આવનાર પેઢી ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તેવી પણ વ્યવસ્થાઓ કરાઈ છે.
પર્યટનને વિકસાવવા કરોડોના ખર્ચે વિકાસના કાર્ય
મહત્વનું છે કે, ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બીએસએફ દ્ધારા સીમા દર્શન પ્રોજેક્ટનો 100 કરોડના ખર્ચે વિકાસ કરાયો છે.આ સીમા દર્શન પ્રોજેક્ટ પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે તેનું લોકાર્પણ થઈ શકે છે.અટારી બોર્ડર જેમ હવે બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર પણ ભારત ભરમાંથી લોકો સીમા દર્શન કરી શકશે. નડાબેટથી ઝીરો પોઈન્ટ બોર્ડર 25 કિલોમીટર દૂર છે.ત્યાં સુધી પહોંચવા માટે રણની વચ્ચેથી પસાર થવું પડે છે.અમારી ટીમ પણ ઝીરો પોઈન્ટ પર જવા માટે ઉત્સુંક હતી.અને અમે તે તરફ આગળ વધ્યા.ઝીરો પોઈન્ટ પર પહોંચી જવાનો સાથેની મુલાકાત પણ કરીશું.