બનાસકાંઠા: એક તરફ ગુજરાતમાં ધોમધખાટ તાપમાં પાણીની ભારે તંગી સર્જાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના વાવ તાલુકાના ચોવા ગામે સ્થાનિક તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જયાં ઉનાળામાં પાણીની તંગી વચ્ચે ચોવા ગામે પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. તંત્રની બેદરકારીથી પાણીના ટાંકામાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છતાં ગામના સરપંચ દ્વારા કોઇ પગલા લેવાયા નથી.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના વાવના ચોવા ગામે તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. ઉનાળામાં પાણીની તંગી વચ્ચે પાણીના વેડફાટને લઈને લોકોમાં તંત્ર સામે રોષ છે. ચોવા ગામે મુખ્ય પાણીના ટાંકામાંથી પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.
એક તરફ ઉનાળો જામી પડ્યો છે અને રાજ્યના જળાશયોમાં ખાસ કરીને સરદાર સરોવર સહિત 204 જળાશયોમાં માત્ર 29% જેટલો જ પાણીનો હિસ્સો બચેલ છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ચોવા ગામે પાણીનો બેફામ વેડફાટ થતો હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
એક તરફ રાજ્યમાં પાણીનો વિકટ પ્રશ્ન છે ત્યારે આવી રીતે પાણીનો વેડફાટ થઇ રહ્યો છે છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવામાં આવ્યા નહીં હોવાનું ધ્યાને આવેલ. ત્યારે હવે જોવું જ રહ્યું કે આગામી સમયમાં તંત્રની આંખ ઉઘડે છે કે નહીં.