બનાસકાંઠ: જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડે છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હલકી ગુણવત્તા વાળા કામની પોલ ખુલી પડી છે.
વાવના ચોથા નેસડા પાસે ફરી કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ નર્મદા જિલ્લા ખાતે આવેલ સરદાર સરોવર ડેમમાં દિવસેને દિવસે જળસપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. તો આ સાથે જ ગુજરાતમાં ગતવર્ષની સરખમાણીએ ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે ત્યારે તાજેતરમાં નેસડાં પાસેની એક કેનાલમાં ગાબડું પડ્યું હતું.
ગાબડું પડવાને કારણે કેનાલ નજીક રહેલા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરોમાં પાણી ધસી આવતા ઉભેલા પાકને મોટા પાયે નુકસાન થતાં ફરીવાર ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો હતો.
આપને જણાવી દઇએ કે બનાસકાંઠા સહિત રાજ્યમાં ઠેર-ઠેર કેનાલમાં ગાબડાં પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના વાવના ચોથા નેસડામાં બનતા ખેતરોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું.
આ મામલે ખેડૂતોએ જાહેર માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું કે તંત્રને વારંવાર જાણ કરવા છતાં કોઇ નિવેડો નહીં આવતા અંતે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવા પામેલ.