બનાસકાંઠા જિલ્લામા ખેડૂતોને પાણી માટે વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો. જેમાં હવે હજારો મહિલાઓ પણ જોડાઈ રહી છે. ત્યારે કેવી છે પાણી માટે તરસતા લોકોમાં ભભૂકતી આગ.
વીજળી સાથે હવે પાણી માટે તરસતો ખેડૂત
પાલનપુરમાં ખેડૂતોની મહારેલી
મલાણા તળાવ ભરવાની માગ
આક્રોષ સામે ગુજરાતમાં આશ્વાસનોની રાજનીતિ થઈ રહી છે. ખેડૂતોને વીજળી પુરતી મળશે તેવા આશ્વાસનો મળ્યા. અત્યાર સુધી પુરતી વીજળી માટે જે અન્નદાતા તરસ તો હતો. તેને હવે પાણી માટે પણ તરસવું પડી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની સમસ્યાઓ તો પહેલાથી જ રહે છે. પરંતુ સરકાર જે તળાવો ભરવાના મોટા-મોટા આશ્વાસનો આપ્યા હતાં. આજે તે તળાવો પણ ખાલીખમ છે. તેવામાં પાલનપુરના મલાણા ગામનું તળાવ ભરવાની માગ સાથે ખેડૂતો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાલપુરમાં 50 ગામના 8 હજારથી વધી લોકોએ પગપાળા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સાથે જ પાણી નહીં તો વોટ નહીં. પાણી નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રોચ્ચાર કરી સરકારને ચિમકી પણ આપી છે.
50 ગામના લોકોએ બે મહિનામાં જ ત્રીજી વખત રેલી યોજીને કર્યો વિરોધ
મહત્વનું છે કે, પાણી માટે તરસી રહેલા 50 ગામના લોકોએ બે મહિનામાં જ ત્રીજી વખત રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે. સૌથી પહેલા તળાવમાં જ ભેગા મળીને સરકાર સામે ખાલીખમ તળાવ ભરવાની માગ કરી હતી. ત્યાર પછી ટ્રેક્ટર રેલી યોજીને પાણી માટે માગ કરી હતી. હવે પાલનપુરમાં પગપાળા રેલી યોજીને તળાવ ભગવા માટે માગ કરી છે.
ચૂંટણી બહિષ્કારની લોકો દ્વારા ચીમકી
નવાઈની વાત એ છે કે, અત્યાર સુધી ખેડૂતો પાણી માટે વિરોધ નોંધાવી રહ્યા હતા. પરંતુ હવે તો પશુઓને પીવાનું પાણી ન મળતા પશુપાલકો વિરોધમાં જોડાયા છે. જેમાં ખાસ કરીને પશુ પાલન સાથે સંકળાયેલી હજારો મહિલાઓએ રેલી યોજી સરકારને પાણી નહીં તો મત નહીંની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ આગામી ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.
PM મોદીના પ્રવાસ પહેલા ખેડૂતો આકરા પાણીએ
ખેડૂતોનું આ આંદોલન એવા સમયે ઉગ્ર બની રહ્યું છે. જ્યારે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદી બનાસડેરીના નવા પ્લાન્ટનો શુભારંભ કરાવવા માટે આવી રહ્યા છે. તેવામાં ખેડૂતો તળાવ ભરવાની માગ સાથે આકરા પાણીએ આવી ગયા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, પ્રધાનમંત્રી મોદીના આવતા પહેલાનો આ વિરોધ ખાલીખમ પડેલા તળાવને પાણીથી છલકાવી શકે છે કે પછી આંદોલન વધું ઉગ્ર બને છે.