બનાસકાંઠામાં એક ખેડૂત પુત્રીએ સૂકીધરાને પાણીદાર બનાવવા અભિયાન આદર્યું છે. ત્રણ વર્ષ પહેલા પોતાના ગામથી શરૂ કરેલું અભિયાન આજે ત્રણ તાલુકાઓ સુધી પહોંચ્યું છે.
કુવા રિચાર્જ કરવાના અભિયાનને વેગ
હજારો ખેડૂતો જોડાયા જળસંચય અભિયાનમાં
આંદોલનો વચ્ચે વેગ પકડતું જળસંચય અભિયાન
બનાસકાંઠાના વડગામ પંથકના હિરલ પટેલે પોતાના ગામની સાથે-સાથે અનેક ગામડાઓની પાણીદાર કર્યા છે. અને હજૂ જળસંચયનું અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન એટલે કે, નિર્જળ બની ગયેલા કૂવા અને બોરવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવાનું અભિયાન. આ અભિયાન હિરલબેને એટલા માટે શરૂ કર્યું કારણ કે, તેનાથી પોતાના ગામના અને આસપાસના ખેડૂતોની વેદના જોઈ શકાતી નહોતી અને પાણીની તકલીફને દૂર કરવા પોતાના જ ગામથી કૂવા રિચાર્જ કરવાના અભિયાનની શરૂઆત કરી હતી.
2 હજારથી વધું ખેડૂતો જોડાયા અભિયાનમાં
હિરલબેને શરૂઆતમાં નોકરીની સાથે-સાથે વધારાના સમયમાં ખેડૂતોને જળસંચય માટે સમજાવતા હતા અને 2 ખેડૂતોએ તૈયારી બતાવતા અભિયાન શરૂ થયું હતું. જેમાં મનરેગા હેઠળ થોડી સહાય મળી જ્યારે બાકીના પૈસા ફાળો કરી મેળવ્યા હતા. નિર્જળ કૂવામાં વરસાદી પાણી ઉતારવાનું અભિયાન શરૂ કર્યું. સમય સાથે આ અભિયાન સંકલ્પ બની ગયો અને આજે વડગામથી લઇને પાલનપુર, દાંતીવાડા, લાખણી, ડીસા સહિતના તાલુકાના ખેડૂતો આ અભિયાનમાં જોડાયા છે. 2 ખેડૂતોથી શરૂ કરેલું અભિયાન 2 હજાર ખેડૂતો સુધી પહોંચ્યું છે અને વરસાદી પાણીથી કૂવા અને બોરવેલ રિચાર્જ કરતા ભૂગર્ભ તળ ઊંચા આવવા લાગ્યાં છે.
20 વર્ષથી પાણી માટે તરસે છે લોકો
બનાસકાંઠા જિલ્લો પાણી માટે છેલ્લા 20 વર્ષથી વલખાં મારે છે. પરંતુ હિરલબેન પટેલે શરૂ કરેલું આ અભિયાન દરેક ગામ, તાલુકા અને જિલ્લામાં એક મિશન બની ગયું છે. તો પાણી માટે તરસતો બનાસકાંઠા જિલ્લો ફરી લીલોછમ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
જળ અભિયાનથી ફરી આવી જિલ્લાની રોનક
એક તરફ પાણી માટે તરસતા બનાસકાંઠા જિલ્લામાં લોકો આંદોલન કરી રહ્યા છે. તો બીજી તરફ લોકો ચોમાસામાં પોતાના ગામને કેવી રીતે પાણીદાર બનાવવું તેનું આયોજન અને યોજના માટે કામ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, વર્ષે પહેલા બનાસકાંઠા જિલ્લામાં લીલી હરિયાળી જોવા મળતી અહીં ખેડૂતો શેરડી, ચણા, મકાઈ, સરસવ, ઘઉં અને બાજરી જેવા પાકો લહેરાતા હતા.જ્યારે આજે આ વિસ્તારમાં ધૂળની ડમરીઉડી રહી છે. ખેતી તો દૂરની વાત પશુપાલન પણ અઘરું બન્યું છે. પરંતુ છેલ્લા 3 વર્ષમાં જે ખેડૂતોએ કુવા અને બોરવેલ રિચાર્જ કરવાની શરૂઆત કરી છે.આજે તેમના ઘરે ફરી ધીમે-ધીમે લીલી હરિયાળી જોવા મળી રહી છે.
ગુજરાતના દરેક જિલ્લામાં આ અભિયાનની આવશ્યકતા
મહત્વનું છેકે, એક તરફ મહિલા તલાટી દ્વારા શરૂ કરવામાં આવેલું કુવા-બોરવેલ રિચાર્જનું અભિયાન રંગ લાવી રહ્યું છે. જ્યારે બીજી તરફ બનાસડેરી દ્વારા જિલ્લામાં 100થી વધુ તળાવો બનાવવાનું અને ઊંડા કરવાનું અભિયાન હાથ ધર્યું છે અને આ બંને અભિયાન આવનાર દિવસોમાં સફળ થવા પર બનાસકાંઠા જિલ્લો ફરી લીલોછમ બને તેવી આંસ બંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં તો આ અભિયાન સફળતા સાથે આગળ વધી રહ્યું છે.પરંતુ આગામી આ અભિયાન ન માત્ર બનાસકાંઠા પુરતું રહી સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અભિયાન બની જાય તે જરૂરી છે.
કેવી રીતે કુવામાં ઉતારી શકાય પાણી?
જમીનનો જે નિચાણ વાળો ભાગ હોય છે. જ્યાં વરસાદનું પાણી ભરાતું હોય છે અથવા પાણીનો નિકાલ થતો હોય છે.ત્યાં આ કુંડી ટાઈપનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે અને તેમાંથી જમીનમાં અંદર પાઈપલાઈન નાખી કુવા સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ કુંડીમાં પાઈપને ઉપર રાખવામાં આવે છે. અને તેને લોખંડની જાળીથી કવર કરવામાં આવે છે. જ્યારે અંદર નાની કપચી ભરી દેવામાં આવે છે.જેથી કરીને કુંડીમાં કચરો અને માટી રોકાઈ જાય છે. આ કુંડીમાંથી પાણી કુવાની બાજુમાં બનાવેલી કુંડી સુધી પહોંચે છે અને તેમાંથી અન્ય એક પાઈપ વડે પાણી કુવામાં ઉતારવામાં આવે છે. જ્યારે બોરવેલની વાત કરીએ તો બોરવેલની બાજુમાં ઊંડો ખાડો કરી પથ્થરો અને કપચીનું સ્ટ્રક્ટર ઊંભું કરવામાં આવે છે.. જેથી માટી અને કચરો ખાડામાં રોકાઈ જાય અને પથ્થરોની વચ્ચેથી પાણી બોરવેલના પાઈમાં પાડેલા કાણા મારફતે ઉતારી શકાય.