બનાસકાંઠાના પંથકમાં પાણીની વર્ષોથી સમસ્યા છે.જિલ્લામાં પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા કાયમ રહી છે અનેક નાના મોટા નેતાઓ ચૂંટણી ટાણે મસમોટા પાણી આપવાના વાયદાઓ કરે છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનુ કોઈ નિરાકરણ આવ્યું નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા સરહદી ગામડાઓમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખાં.
ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. સરહદ પર આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટેની ખુબજ તંગી જોવા મળી રહી છે. રાજસ્થાન સરહદ પર આવેલું બનાસકાંઠા જિલ્લાનું છેવાડાનું ગામ એટલે ધનપુરા ગામ. જે ગામની પ્રજાને પાણી માટે હેરાન થવું પડે છે. બનાસકાંઠા સરહદ રાજસ્થાન બોર્ડર પર આવેલું જીલ્લાનું છેલ્લું ગામ હંમેશા પાણીથી વંચિત રહ્યું છે. ધનપુરા ગામે લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.
ગામની મહિલાઓએ જણાવ્યું હતું કે રસોઈ માટે પણ પાણી ખેતરોમાંથી લાવવું પડે છે. ગામમાં જે પાણી આવે છે તે થોડું થોડું આવી બંધ થઈ જાય છે. ગામના લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગામના સરપંચ પણ આ સમસ્યાનો ઉકેલ લાવતા નથી. તાલુકા પંચાયતના અધિકારીઓ રજૂઆત કરવા છતા આ ગામની મુલાકાતે આવતા નથી.બોર્ડર પર આવેલા આ ગામની પરિસ્થિતિ પીવાના પાણી વગર ખુબજ કપરી બની ગઈ છે.
સરકાર દ્વારા ધનપુરા ગામે 6 જેટલા હેન્ડપંપ બનાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં એક પણ હેન્ડપંપ ચાલુ હાલતમાં નથી ગ્રામજનોએ જણાવ્યું હતું કે તંત્રને ઘણીવાર રજૂઆત કરવા છતાં હેન્ડપંપ રિપેર કરતા નથી જમીનના અંદરથી જે પાણી આવે છે તેમાં પણ ઘણીવાર ખારું પાણી આવે છે.
આપને જણાવી દઇએ કે આ ગામની Vtvએ પાણીની તંગીને લઇને રિયાલિટી ચેક કરી હતી તપાસતા પાણી માટેની સુફિયાણી વાતો કરતી રૂપાણી સરકારનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. આ ગામ હંમેશા પાણીથી વંચિત રહ્યું છે. આ સાથે ઉનાળાની શરૂઆતમાં જ પાણી વગર કઠિન પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે AC ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ સરહદી વિસ્તારના લોકોને પાણી આપશે કે નહીં તે આવનાર સમય જ બતાવાશે.