ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ મુદ્દે બનાસકાંઠાના DEO નરેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, બનાસકાંઠામાં પેપર લીકની ઘટના ધ્યાને આવી નથી, પેપર લીક થયું હશે તો ગુજરાત શિક્ષણ બોર્ડ કાર્યવાહી કરશે.
ધો.12નું પેપર લીક થવા મામલે DEOનું નિવેદન
'બનાસકાંઠામાં પેપર લીકની ઘટના ધ્યાને નથી આવી'
'શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે પરીક્ષા'
રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયું હોવાની ચર્ચા સામે આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા પહેલા કથિત રીતે પેપર વાયરલ થયાનો યુવરાજસિંહએ દાવો કર્યો હતો. આ મામલે ગુજરાત બોર્ડના ચેરમેન એ.જે શાહે જણાવ્યું હતું કે, પેપરલીક થયાની કોઈ બાબત સાચી નથી. આ મામલે અમે સાયબર ક્રાઇમને ફરિયાદ કરીશું. તેમણે કહ્યું હતું કે, પેપરલીક થયું નથી પણ વાયરલ થયું તે એક પ્રશ્ન છે. પેપર લીક થયું નથી. માત્ર ફોટા સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. પેપર ક્યાંથી અને કેવી રીતે બહાર આવ્યું એ પોલીસ તપાસ કરશે.
વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી રહ્યા છેઃ DEO
આ મામલે હવે બનાસકાંઠાના DEOનું નિવેદન સામે આવ્યું છે. DEO નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે અને તમામ વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે. બનાસકાંઠામાં પેપર લીકની ઘટના ધ્યાને આવી નથી. જો આવી કોઈ બાબત હશે તો ગુજરાત બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
યુવરાજસિંહે કર્યું હતું ટ્વિટ
આપને જણાવી દઈએ કે, ગઈકાલે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયો હોવાની ચર્ચા સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ધોરણ 12ના કોમ્પ્યુટર વિષયની પરીક્ષાને લઈને ટ્વિટ કર્યું હતું.
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ""#કોમ્પ્યુટર_વિષય"" ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે.
મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે.
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.
વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫ pic.twitter.com/PstcxW3Ead
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી: યુવરાજસિંહ જાડેજા
ટ્વિટમાં તેઓએ લખ્યું હતું કે, 'આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલિક થયાની માહિતી પહોચાડવામાં આવેલી છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી તેમજ વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે.'
સરકાર તપાસ કરે તો સામે આવશે તથ્યઃ વિદ્યાર્થી નેતા
અન્ય એક ટ્વિટમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારી પાસે કોઈ માધ્યમ નથી, સરકાર આ વાતની તપાસ કરે તો તથ્ય સામે આવશે. જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું.'