બનાસકાંઠાના વાવ તાલુકાના ગડસીસર માઈનોર કેનાલમાંથી ખેડૂતોને સિંચાઈનુ પાણી ન મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરતા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.
કેનાલનુ પાણી ન મળતા લગભગ 500 જેટલા ખેડૂતોએ હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો હતો અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા.
ગડસીસર ગામ તેમજ આસપાસના ગામના 500થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવી નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. ખેડૂતોની માગ છે કે દરરોજ તેમને કેનાલનું પાણી આપવામાં આવે.
આ ઉપરાંત ખેડૂતોએ સરકારી કચેરીઓને તાળા મારવાની પણ ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે નર્મદા નિગમે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેવો પરિપત્ર બહાર પાડયો હતો.
તેમ છતા ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા અને હાઈવે પર વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ કલેક્ટરે આ મુદ્દે મીટીંગ ગોઠવી હતી અને નિરાકરણ માટે પ્રયાસ હાથ ધર્યા હતા.