બનાસકાંઠાના ડીસામાં આવેલ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારાની સહાય ન મળવાની ઘટના સામે આવી છે. આજે પાંજરાપોળના સંચાલકોએ ગાયોને સરકારી કચેરી આગળ છોડી દેવાની ચીમકી આપી છે જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું છે.
ડીસાના કાંટ પાંજરાપોળને લઈને જે ગાયોને ઘાસ અને અન્ય સહાયને લઇ પશુ પ્રેમીઓએ તંત્રને દોડતું કર્યું છે. આ સમગ્ર મામલો રાજ્ય સ્તરે પહોંચી ગયો છે.
આ સમગ્ર મામલે કેબિનેટ પ્રધાન કૌશિક પટેલે નિવેદન આપ્યું હતું કે ગૌશાળાને નિયમિત સહાય ચૂકવાય છે અને ઘાસચારો પણ મળી રહે છે. જોકે કૌશિક પટેલે પોતાના નિવેદનમાં પાંજરાપોળના સંચાલક ભરત કોઠારી તરફ આકરા તેવર વ્યક્ત કર્યા હતા.
મળતી માહિતી મુજબ સત્તર વર્ષથી ગૌશાળાને કોઇપણ જાતની સહાય ચૂકવાઇ નથી અને સરકાર તરફથી કોઇપણ જાતનો ઘાસચારો પણ ગૌશાળાને મળ્યો નથી. ત્યારે ગૌશાળાના સંચાલકો લાખોના દેવામાં આવી ગયા છે.
ગૌશાળાના સંચાલકોએ સરકાર અને વહીવટી તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ ઉપરાંત મીઠી ધમકી પણ આપી છે. સંચાલકોએ કહ્યું છે કે જો બે દિવસમાં આ પ્રશ્ન નહીં ઉકેલાય તો જે પરિસ્થિતિ સર્જાય તેના માટે જવાબદાર માત્ર સરકાર અને વહીવટી તંત્ર રહેશે.