લોકડાઉનમાં ખેડૂતો માટે બનાસડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. બનાસડેરી લોકડાઉનના સમય દરમિયાન ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે. બનાસ દાણના મટિરિયલને પુરૂ કરવા ડેરી જે તે ગામમાંથી સીધા જ ખેડૂતો પાસેથી ઘઉં, જુવાર, બાજરી જેવા પાક ખરીદશે. ત્યાંજ ખેડૂતોને રૂપિયા પણ ચુકવશે.
લોકડાઉનમા ખેડૂતો માટે બનાસ ડેરીનો મહત્વનો નિર્ણય
લોકડાઉનના સમય દરમિયાન બનાસ ડેરી ખરીદશે ખેત પેદાશો
બનાસ દાણના મટરિયલને પુરૂ કરવા ખેત પેદાશો ખરીદશે
કોરોના વાયરસને લઇને સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે રાજ્યના માર્કેટિંગ યાર્ડ બંધ કરી દેવાયા છે. જેને લઇને ખેડૂતો પોતાનો પાક વેચી નથી શકતા. ત્યારે હવે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે બનાસડેરીએ ખેતપેદાશ ખરીદવાનું આયોજન કર્યું છે. માર્કેટયાર્ડ બંધ થતાં બનાસડેરીએ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે.
આ અંગે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોનાની સમસ્યા વચ્ચે પશુપાલકોનું દૂધ એક દિવસ પણ બંધ ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસડેરી ખેડૂતોને જ્યાંથી પણ મદદ થાય ત્યાંથી મદદ કરીને બનાસ દાણ રોજેરોજ પૂરુ પાડી રહ્યા છીએ.
ખેડૂતો ગામમાં જ પોતાનો પાક વેચી શકશે અને પૈસા પણ ત્યાં જ મળી જશે
શંકર ચૌધરીએ જણાવ્યું કે, માર્કેટિંગ યાર્ડ બંધ હોવાથી ઘઉં, જઉં, બાજરી અને મકાઇ જેવા પાકો ખેડૂતો વેચી શકતા નથી. તેથી હવે દૂધ મંડળીમાં પાકના ખરીદ-વેચાણની સુવિધા ઉભી કરવામાં આવી છે. ખેડૂતો ત્યાં ગામની અંદર જ પોતાનો પાક વેચી શકશે. અને ત્યાં ગામમાં જ તેમને પૈસા મળી જશે અને સારો ભાવ પણ મળશે.
પાક વેચવો હોય તો દૂધ મંડળીનો સંપર્ક કરો
શંકર ચૌધરીએ કહ્યું કે, જેમણે પણ પોતાના પાક વેચવાનો હોય તેઓ પોતાની દૂધ મંડળીના મંત્રીનો સંપર્ક કરે. બનાસ ડેરી દ્વારા તેમને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગામની અંદર જ ચેકથી પોતાના પૈસા મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ઘર બેઠા જ પૈસા મળી જશે. જેથી ક્યાંય પણ સોશિયલ ડિસ્ટિન્સનો ભંગ ન થાય.