કેળાંમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણાં વિટામિન તમને બીમારીઓના જોખમ સામે રક્ષણ આપે છે.
કેળાંમાં ઘણા પ્રકારના પોષકતત્વો રહેલા છે
અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે કેળાં
જાણો તેના ફાયદાઓ વિશે
સ્વાસ્થ્યની નજરે કેળાં અનેક રીતે લાભદાયી છે. કેળાંમાં ઘણાં પ્રકારનાં પોષકતત્ત્વો અને વિટામિન રહેલાં છે, જે આપણને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. કેળાંમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઘણાં વિટામિન તમને બીમારીઓના જોખમ સામે રક્ષણ આપે છે. આ ફળ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૧૦૦ ગ્રામ કેળાં ખાવાથી કેલરી (૮૯), પાણી (૭૫ ટકા), પ્રોટીન (૧.૧ ગ્રામ), કાર્બ્સ (૨૨.૮ ગ્રામ), શુગર (૧૨.૨ ગ્રામ), ફાઇબર (૨.૬ ગ્રામ) અને ફેટ (૦.૩ ગ્રામ) મળે છે. ઘણા અભ્યાસમાં રોજ કેળાં ખાવાથી આરોગ્યને થતા અનેક ફાયદા વિશે દાવા કરવામાં આવ્યા છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કેળાંમાં ફાઇબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે. કેળાં ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે અને તમારું મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. કેળાં ખાવાથી વજન વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે, કારણ કે કેળાં ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં, સાથે જ તમારું શુગર ક્રેવિંગ્સ પણ ખતમ થશે. કેળાંમાં પ્રચુર માત્રામાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ બને છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ કયાં ફળ ખાવાં તેને લઇને મોટા ભાગે અસમંજસમાં રહે છે. કેળાં સ્વાદમાં મીઠાં હોવાથી મોટા ભાગના લોકો તેનાથી અંતર રાખે છે, પરંતુ અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન અનુસાર ડાયાબિટીસના દર્દીઓ માટે કેળાં ખાવાં ફાયદાકારક છે, કારણ કે તેમાં ફાઇબર રહેલું છે. ફાઇબરનું સેવન બ્લડ શુગરના સ્તરને ઘટાડે છે.
પાચનક્રિયા બનાવશે મજબૂત
કેળાંમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી પાચનક્રિયા સ્વસ્થ અને મજબૂત રહે છે. જો તમે કોઇ પેટની સમસ્યાથી પરેશાન હો તો તમે ડાયટમાં કેળાંને જરૂર સામેલ કરો. તેના સેવનથી તમારું પાચનતંત્ર એકદમ સ્વસ્થ રહેશે. વધુ ફાઇબરવાળા આહાર ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમવાળા લોકોમાં સોજો, ગેસ અને પેટની સમસ્યાઓ ઘટાડવામાં ફાયદાકારક છે.
હૃદય માટે છે શ્રેષ્ઠ ફળ
સંશોધકોનું કહેવું છે કે હૃદયની કોઇ પણ પ્રકારની બીમારીથી પીડિત લોકોએ કેળાંનું સેવન કરવું જોઇએ. કેળાંમાં વિટામિન-સી, ફાઇબર, પોટેશિયમ, ફોલેટ અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે મદદરૂપ બને છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
બીપી રાખે છે કંટ્રોલમાં
જો તમને હાઇ બીપીની સમસ્યા છે તો તમે કેળાંનું સેવન કરીને તેમાંથી મુક્તિ મેળવી શકો છો. કેળાંમાં આયર્નની માત્રા ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, તેથી રોજ એક કેળાનું સેવન કરવાથી એનીમિયાનું જોખમ ન બરાબર થઇ જાય છે.