એસટી બસ યમદૂત બનીને નિર્દોષ નાગરિકોના જીવનનો ભોગ લેતી આવી છે
બીઆરટીએસ કોરિડોરમાં પ૦ ટકા જીવલેણ અકસ્માત એસટી બસથી થાય છે
એસટી બસ નીચે કુલ ૧૬ નાગરિક કચડાયા
બીઆરટીએસ કોરિડોરમાં પુરપાટ વેગે દોડતી એસટી બસ યમદૂત બનીને નિર્દોષ નાગરિકોના જીવનનો ભોગ લેતી આવી છે, જેના કારણે બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા એસટી વિભાગને કોરિડોરમાંથી એસટી બસને પસાર કરતી રોકવાની અવારનવાર સૂચના અપાઇ છે. હવે આ સૂચનાનો અમલ થયો હોય તેમ લાગે છે. છેલ્લા કેટલાક દિવસથી એસટી બસ બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થવાના બદલે મિક્સ ટ્રાફિકમાંથી દોડી રહી છે.
ગત તા.૬ સપ્ટેમ્બરે એક ૬પ વર્ષીય વૃદ્ધ એક્સપ્રેસ હાઇવે પાસેના ઝિબ્રા ક્રોસિંગમાં થઇ રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વખતે જશોદાનગર તરફથી આવતી એસટી બસે તેમને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. આ દુર્ઘટનામાં એસટી બસ દ્વારા વધુ એક નાગરિકનો ભોગ લેવાતાં આ બાબત વિવાદાસ્પદ બની હતી.
અગાઉ નવેમ્બર-ર૦૧૯માં પાંજરાપોળ ખાતેની દુર્ઘટનામાં બીઆરટીએસ બસની ટક્કરમાં બે સગાભાઇનાં કમકમાટીભર્યાં મોત નીપજતાં તેના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તંત્ર દ્વારા એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોરમાંથી તબક્કાવાર હટાવી લેવાઇ હતી. તે સમયે એસટી બસ ઉપર પણ પ્રતિબંધ મૂકવાનો મામલો ગાજ્યો હતો.
તંત્રના એક સર્વે મુજબ બીઆરટીએસ કોરિડોરમાં પ૦ ટકા જીવલેણ અકસ્માત એસટી બસથી થાય છે. છેલ્લાં બે વર્ષમાં બીઆરટીએસ કોરિડોરમાં બેફામ દોડતી એસટી બસ નીચે કુલ ૧૬ નાગરિક કચડાયા છે.
જોકે સ્ટેિન્ડંગ કમિટીમાં પણ શાસક ભાજપના સભ્યો દ્વારા વહેલી સવારે ઇસ્કોનથી શિવરંજની સહિતના બીઆરટીએસ કોરિડોરના એસટી બસના એન્ટ્રી પોઇન્ટથી ધસમસતા વેગથી દોડતી એસટી બસનો મામલો તંત્ર સમક્ષ ઉઠાવાયો હતો. બીઆરટીએસ કોરિડોરના િસ્ટ્રંગ ગેટમાંથી પસાર થવા માટે એસટી બસ માટે રૂ.૧૯૦૦ની કિંમતના આરએફઆઇડી ટેગ લગાવવાનાં હોય છે, જેમાં પણ ધાંધિયાં જોવા મળ્યાં છે.
દરમિયાન એસટી વિભાગ દ્વારા બસ ડ્રાઇવરને બીઆરટીએસ કોરિડોરમાં પ્રવેશ નહીં કરવાની મૌખિક સૂચના અપાઇ હોવાની ચર્ચા ઊઠી છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી એસટી બસ બીઆરટીએસ કોરિડોરના બદલે મિક્સ ટ્રાફિકમાંથી દોડી રહી હોવાની બાબતને બીઆરટીએસ સત્તાવાળા પણ સ્વીકારી રહ્યા છે.