ગુજરાત પર શાહીન વાવાઝોડાનાં ખતરાને જોતાં સુરતમાં બે દિવસ માટે બીચ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સુરતમાં શાહિન વાવાઝોડાની અસરની શક્યતા
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
સુરતના તમામ બીચ બે દિવસ માટે બંધ
ગુજરાતનાં તમામ દરિયાકિનારાઓને અલર્ટ કરાયા
ગુજરાતમાં આવતીકાલે શાહીન વાવાઝોડાનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના નલિયા નજીક વાવાઝોડું સક્રિય થવાનું છે જે બાદ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં તમામ દરિયાકિનારાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે પોરબંદરનાં દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. એવામાં સુરતમાં પણ તંત્ર અલર્ટ બન્યું છે.
સુરતમાં આગામી બે દિવસો સુધી તમામ બીચને બંધ કરવાના આદેશ
ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ તથા ભારે પવન ફૂંકાવાની આગાહીને જોતાં સુરતનાં તમામ બીચને આગામી બે દિવસ સુધી બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સુરતનાં ડુમસ, સુવાલી અને ડાભારી બીચ આગામી બે દિવસ સુધી સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે. સુરતમાં શાહીન વાવાઝોડાના કારણે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને જોતાં અધિક કલેકટરે આદેશ આપ્યો છે.
ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે લગાવાયુ સિગ્નલ
ગુજરાતમાં હવે શાહીન વાવાઝોડું આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે ત્યારે પોરબંદરનાં બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે જે તે નજીકના બંદર પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તથા હવે સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે પોરબંદરમાં સુરક્ષા એજન્સીઓએ પણ અલર્ટ આપ્યું છે. કોસ્ટગાર્ડ તાત્કાલિક તમામ માછીમારોને તરત જ બંદર પર ખસી જવા માટે સૂચના આપી છે.
વલસાડના તિથલનો દરિયો બન્યો તોફાની
પોરબંદરની સાથે સાથે વલસાડમાં તિથલનો દરિયો પણ તોફાની બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેના પગલે દરિયો તોફાની બન્યો છે. તિથલનાં દરિયાકિનારા પર લાગેલા સ્ટોલ પણ પવનમાં ઊડી ગયા છે.
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે.