સમયની માંગ છે કે જલદી નિર્ણય લેવામાં આવેઃ બાંભણિયા
વડીલોના મર્ગદર્શન સાથે કઈક નિર્ણય લેવામાં આવેઃ બાંભણિયા
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશની અટકળો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો ઘણા વહેતા થયા પરંતુ આજ દિન સુધી નરેશ પટેલ આ અંગે કોઇ નિર્ણય લઇ શક્યા નથી. તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે કે નહી તે અંગે 15મે પહેલા ચિત્ર સ્પષ્ટ કરી દેશે તેવું સામે આવ્યું હતું. વળી જામનગરના એક કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો છું તે નક્કી છે પરંતુ ક્યારે કોંગ્રેસમાં જોડાઈશ તે હજુ નક્કી નથી. ત્યારે હવે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે ક્યારે તે અંગે દિનેશ બાંભણિયાએ કોઇ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.
દિનેશ બાંભણિયાએ નિર્ણય લેવા કરી માંગ
પાસના નેતા દિનેશ બાંભણિયાએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને એક ટ્વિટ કર્યુ છે. તેઓએ તેમાં ઉલ્લેખ કર્યો છે કે ' સાથી મિત્રો સમયની માંગ છે કે જલદી નિર્ણય લેવામાં આવે. વડીલોના માર્ગદર્શન હેઠળ સાથે મળીને કંઈક નિર્ણય લેવામાં આવે..પછી એ નિર્ણયસામાજિક હોય કે રાજકીય.....જય સરદાર'.
આહિર સમાજ ઇચ્છે છે કે રાજકારણમાં જોડાવું જોઈએઃ નરેશ પટેલ
ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે આહીર સમાજની મિટિંગ મળી હતી. આ મિટિંગ બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, આહિર સમાજના આગેવાનો ઈચ્છી રહ્યા છે કે, રાજકારણમાં જોડાવું જોઈએ. નરેશભાઈ પટેલ રાજકારણમાં જાય તો આહિર સમાજ તેની સાથે છે.
આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાઇશઃ નરેશ પટેલ
થોડા દિવસ અગાઉ જ નરેશ પટેલે રાજનીતિને લઇને કહ્યું હતું કે, આગામી દિવસોમાં રાજનીતિમાં જોડાઇશ. હું એક સામાજિક કાર્યકર્તા છું. રાજનીતિમાં જોડાવા અનેક સમીકરણો ધ્યાને લેવા પડે. હું એ પક્ષમાં જોડાઇશ, જે સમાજ માટે કામ કરશે, લોકો માટે કામ કરશે. પ્રશાંત કિશોરનો નિર્ણય તેમનો અંગત નિર્ણય હોઇ શકે.
મહત્વનું છે કે, જામનગરમાં ભાગવત કથામાં નરેશ પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે જોવા મળ્યા હતા. જોકે નરેશ પટેલે આ અંગે કહ્યું કે, CR પાટીલ સાથે કોઈપણ મુદ્દે ચર્ચા નથી થઈ. આ અગાઉ તેઓ વરૂણ પટેલ, અલ્પેશ ઠાકોર સાથે પણ જોવા મળ્યા હતા. બીજી તરફ રાજનીતિના સલાહકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યારે હવે નરેશ પટેલ ટુંક સમયમાં જ રાજનીતિમાં પ્રવેશ કરી લે તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.