261થી વધુ લોકોનો ભોગ લેનારા ઓડિશાના બાલાસોર ટ્રેન એક્સિડન્ટનું કારણ સામે આવ્યું છે.
ઓડિશાના બાલાસોર ટ્રેન એક્સિડન્ટનો સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો
રિપોર્ટમાં સિગ્નલની ભૂલ દેખાડાઈ
પહેલા સિગ્નલ આપવામાં આવ્યું પછી પાછું ખેંચાયું
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન એક્સિડન્ટનું કારણ સામે આવ્યું છે. ટ્રેન એક્સિડન્ટ બાદ એક સંયુક્ત તપાસ કમિટી રચવામાં આવી હતી જેનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં એક્સિડન્ટ પાછળ સિગ્નલની ભૂલને જવાબદાર ઠેરવવામાં આવી છે.
બે ટ્રેન સાથે ટકરાનાર માલગાડી લૂપ લાઇન પર ઉભી હતી
રિપોર્ટ મુજબ બહાંગા બજાર સ્ટેશન પર આ માલગાડી લૂપ લાઇનમાં ઉભી હતી. એ દરમિયાન 12841 કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા બજાર સ્ટેશન પર પહોંચી. જ્યારે કોઈ ટ્રેનને સ્ટેશન પરથી પસાર કરવાની હોય ત્યારે કોઈ ટ્રેન લૂપ લાઇનમાં ઊભી રાખવામાં આવતી હોય છે.
બહાનાગા બજાર સ્ટેશન પર પણ આવું જ બન્યું હતું. કોરોમંડલ એક્સપ્રેસને પસાર કરવા માટે માલગાડી લૂપ લાઇન પર ઉભી હતી.
પહેલા સિગ્નલ આપ્યું પછી ફેરવી નખાયું
બાલાસોર ટ્રેન અકસ્માત અંગેના સંયુક્ત અહેવાલ મુજબ, કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેઇન લાઇન તરફ સિગ્નલ આપવામાં આવ્યું હતું જોકે થોડી સેકન્ડો બાદ તરત સિગ્નલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં પ્રવેશી ચૂકી હતી અને પહેલેથી જ પાર્ક કરેલી માલગાડી સાથે અથડાઈને પાટા પરથી ઉતરી ગઈ હતી.
261થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો
ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 261થી વધુ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. ત્રણ ટ્રેનોની આ ભીષણ ટક્કર બાદ અકસ્માતનો સંયુક્ત તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. આ તપાસ રિપોર્ટમાં આ ભયાનક ઘટના પાછળ સિગ્નલ સંબંધિત ભૂલ સામે આવી છે.