શિવસેના-બીજેપીના જોડાણ માટે ‘ઠાકરે’ ફિલ્મ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. એક સમયે બીજેપીને આ જોડાણમાં ભંગાણ લાગતું હતું ત્યારે શિવસેનાના વડા બાલ ઠાકરેના જીવન પર બનેલી આ ફિલ્મનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બીજેપી અને નરેન્દ્ર મોદીની સતત ટીકાઓ કરનારા ‘સામના’ના તંત્રી સંજય રાઉત આ ફિલ્મના પ્રોડયૂસર છે. તેમ છતાં પણ આ સ્પેશિયલ શોનું આયોજન કરાયું છે.
નિર્માતા અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આ વાતને સમર્થન આપતાં કહ્યું કે અમે તમામ સંસદસભ્યો માટે દિલ્હીમાં બાલ ઠાકરે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવાના છે. અમારી યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવાની વાત છે.
ફિલ્મના નિર્માતા અને અન્ય સભ્યો હાલમાં બાલા સાહેબના જીવન પર બનેલી આ ફિલ્મના પ્રમોશન માટે ઉત્તર પ્રદેશમાં છે. સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે સ્થળ અને સમય હજુ નક્કી કરાયા નથી પરંતુ સંસદમાં એક થિયેટર છે જ્યાં આ સ્ક્રીનિંગ થઇ શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનની પણ પસંદગી કરી શકાય તેમ છે.
હિંદુત્વના એજન્ડા પર થયેલું બંને પક્ષોનું જોડાણ જ્યારે તૂટવાની અણી પર છે ત્યારે સ્પેશિયલ સ્ક્રીનિંગની વાત સાંભળીને ઘણા લોકોને નવાઇ લાગી છે. મુંબઇથી શિવસેનાના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું કે ભાજપ અને સેનાના નેતાઓ આ વાતથી નાખુશ હોઇ શકે છે.
જોકે વડા પ્રધાન મોદી માટે એવું ન પણ હોઇ શકે. બંને પક્ષો વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી છતાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગયા અઠવાડિયે મુંબઇમાં યોજાયેલા ‘ઠાકરે’ના ટ્રેલર લોન્ચમાં હાજર રહ્યા હતા.
બાલા સાહેબે હંમેશાં હિંદુત્વ અને રાષ્ટ્રીય હિતને આગવંુ મહત્ત્વ આપ્યું છે. વડા પ્રધાન મોદીનું પણ આ જ વલણ છે. તેથી તેમને હંમેશાં દિવંગત નેતા માટે આગવું માન રહ્યું છે.