કુદરતની લીલા અકળ હોય છે. તેમ મનની શક્તિઓ પણ અગાધ હોય છે. કોઈને વીજળીના {બકારાની જેમ બુદ્ધિના ચમકારા થતા હોય છે તો કોઈને ઘણી માથાપચ્ચીબાદ પણ કશું યાદ આવતું નથી. કોઈ બાળક કક્કાનો ક પણ માંડ બોલી શકતો હોય અને છતાં તે ભગવત ગીતાના 36 જેટલા શ્લોકો કડકડાટ બોલી શકે તેને તમે શું કહેશો? કદાચ તમે તેને સુપુપ્તશક્તિ જ કહેશો. તો કોણ છે એવું બાળક જે માત્ર પાંચ વર્ષની ઉંમરે કડકડાટ બોલે છે ગીતાના શ્લોકો જોઈએ આ અહેવાલમાં.
ઉલ્લેખનીય છે કે, કદાચ આવી રીતે કાલીઘેલી ભાષામાં ભગવદ ગીતાના સંસ્કૃત શ્લોક તમે પહેલીવાર જ સાંભળ્યા હશે. પણ કહેવાય છેને મેધાને ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી. પોતાની લાડકી બહેન અને માતા-પિતા સાથે મરુન કલરના પોશાકમાં રૂડું રૂપાળું લાગતું આ બાળકને જોઈને તમે કલ્પના પણ નહી કરી શકો કે આ બાળકની ભીતરમાં એક પંડિતને શોભે તેવી મેધા વિકસી રહી છે. તેજસ્વી લાગતા આ બાળકનું નામ છે જય પટેલ.
ઉલ્લેખનીય છે કે, મોસાડા તાલુકાના જીતપુર ગામે પ્રકાશ પટેલ અને તેમના શિક્ષિકા પત્નીનો આ પુત્ર જય ખૂબ નાની ઊંમરમાં ઊંચી સિદ્ધી પચાવીને બેઠો છે...જયની ઉંમર હજુ તો માંડ પાંચ વર્ષની છે પરંતુ આટલી નાની ઉંમરમાં તેને ભગવદ ગીતાના 36 જેટલા શ્લોકો કંઠસ્થ છે.
હજુ તો તે ગુજરાતી મૂળાક્ષરો પણ માંડ ઓળખી શકે છે. પરંતુ જ્યારે તેને ગીતાના સંસ્કૃતશ્લોકો બોલવાનું કહીયે તો હર્ષપૂર્વક તે પોતાની કાલી ઘેલી ભાષામાં શ્લોકો બોલવા લાગે છે. પોતાના પુત્રની આ મેધા વિશે વાત કરતાં તેના પિતા હર્ષ અને ગૌરવ અનુભવી રહ્યા છે.
સામાન્ય રીતે પહેલા ધોરણમાં ભણતું બાળક માંડ વાંચી અને અને બોલી શકતું હોય છે તેવામાં આ બાળકે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જય હાલ મહાવરા અને રોજ રોજ કંઠ્યગાન દ્વાર 36 જેટલા ગીતાશ્લોક કંઠસ્થ કરી ચુક્યો છે. જો કે આ માટે પરિવારનું વાતાવરણ પણ તેના માટે પ્રેરકબળ બન્યું છે. આ બાળકનું જતન જ આદ્યાત્મિક વાતાવરણ વાળા પરિવારમાં થયું છે. જ્યારે બાળકને આ પ્રેરણા તેની મોટી બહેન પાસેથી મળી છે. તેની મોટી બહેન ક્રિશ્નાને પણ 18 અધ્યાય માંથી 4 અધ્યાય કંઠસ્થ છે આ પરિવાર સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો છે.
વહેલી સવારે તેમજ સાંજના સમયે પરિવારજનો ભેગા મળીને સામુહિક ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરતા હોય છે. જે તેની મેધા માટે ઉદ્દીપક બન્યું છે. હાલ તો આ આ બાળકે હાંસલ કરેલી આ સિદ્ધિ લોકો માટે જિજ્ઞાસાનો વિષય અને આકર્ષણનું કેદ્ર બની છે. ત્યાં સુધી કે ખુદ તેના માતા પણ પોતાના પુત્રની આ સિદ્ધિથી આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
આજના આધુનિક યુગમાં મોટાભાગના વાલીઓએ પોતાના બાળકને સારું શિક્ષણ મળી રહે તે માટે શહેરો તરફ દોટ લગાવી છે, પરંતુ ગામડામાં રહીને પણ બાળકને શિક્ષણ તેમજ અદ્યાત્મના પાઠ શીખવી શકાય તે બાબતનું ઉત્તમ ઉદાહરણ આ પરિવારે પૂરું પાડ્યું છે. આજના આ આધુનિક યુગમાં વોટ્સએપ, યુ ટ્યુબ અને સોશ્યિલ મીડિયા પાછળ ઘેલા બનેલા બાળકો અને તેમના વાલીઓ માટે એક પ્રેરણા રૂપ કિસ્સો છે.