અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સબસિડીવાળી લોન અપાવાના બહાને ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.. આરોપી રમાકાન્ત સાહુએ લોન અપાવવાના બહાને 2 ટકા કમિશન પેટે રૂપિયા 1 લાખ 47 હજારની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.આરોપીએ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ સબસિડીવાળી સસ્તા વ્યાજ દરની લોન અપાવવાની વાત કરી હતી.
સસ્તી લોન સરળ રસ્તેનું કહી ઠગાઈ
વિદેશમાં અભ્યાસ કરવા લાખો રુપિયાની લોન અને કોરોનામાં ભાગી પડેલા અર્થતંત્રને બેઠું કરવા અને નાના ઉદ્યોગોને બેઠા કરવા સરકાર સબસિડીવાળી બેંક લોન આપી રહી છે તેવું કહીને વેપારીને ધંધા માટે 8 લાખ, યુવાનને વિદેશ ભણવા મોકલવા માટે 16 લાખ અને મકાન માટે 24 લાખની લોન અપાવવાના બહાને 2 ટકા કમિશન પેટે ગઠિયાએ પાંચ લોકો પાસેથી 1.47 લાખ પડાવી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જરૂરી દસ્તાવેજો લીધા અને ટુકડે ટુકડે 1.47 લાખ પડાવી લીધા
ફોટામાં દેખાતો આ છે રમાકાન્ત સાહુ. જે ઘાટલોડિયામાં રહેતા ધર્મેશભાઈ શર્માની દુકાને આવ્યો હતો અને તેણે તે લોન અપાવવાનું કામ કરે છે તેમ કહ્યું હતું. ફરિયાદીના બીજા મિત્ર આશારામભાઈ વર્માનું મકાન કપાતમાં જતું હોવાથી મકાન માટે રૂ.24 લાખની લોનની જરૂર હતી, જેથી આ પાંચેય મિત્રોને લોન અપાવવાની વાત કરીને 2 ટકા કમિશન લેવાની વાત કરી હતી. જોકે ત્રણેય પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ લીધા બાદ રમાકાંતે જુદા જુદા ચાર્જ પેટે ત્રણેય પાસેથી ટુકડે ટુકડે રૂ. 1.47 લાખ પડાવી લીધા હતા અને લોન અપાવી ન હતી.
જોકે ભાંડો ફૂટી જતા રમાકાંતે પૈસા પાછા આપી સમાધાનની વાત કરી હતી, પરંતુ પૈસા પાછા અપાવ્યા ન હતા કે લોન અપાવી ન હતી. આથી આ અંગે ધર્મેશભાઈએ રમાકાંત સાહુ વિરુદ્ધ નવરગંપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી સામે અગાઉ પણ સોલામાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હાલ આરોપી રાજ્ય બહાર હોવાથી લોકેશન અને બાતમી આધારે તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે