મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના જમીન અરજી નામંજૂર, જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલો
જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર
જેલમાં બંધ જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી હતી
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં વચ્ચગાળાના જામીન અરજી મામલે આરોપી જયસુખ પટેલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. મોરબી કોર્ટે આરોપી જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. મોરબીની ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 7, 2023
જયસુખ પટેલના જામીન નામંજૂર
ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા નિર્દોષોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલના સળીયાની પાછળ ધકેલી દીધા છે. ત્યારે છેલ્લા 27 દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલની જામીન માટે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ આજે આરજી કરી હતી. મહત્વનું છે કે, આરોપીની વચગાળાની જામીન અરજી મોરબીની ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે
બંને પક્ષોએ રજૂ કરી હતી દલીલો
જયસુખ પટેલે મોરબી ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેની સુનાવણી ગત 4 માર્ચે કોર્ટમાં યોજાઈ હતી. જેમાં બંને પક્ષના વકીલોએ સામસામી દલીલો રજૂ કરી હતી. જયસુખ પટેલના વકીલે હાઈકોર્ટના આદેશનો હવાલો આપીને દલીલ રજૂ કરી હતી કે, બેંકનું કામ અને પીડિતોને વળતર ચૂકવવા માટે જયસુખ પટેલને વચગાળાના જામીન મંજૂર કરવા જોઈએ. તો સામે સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી કે, જયસુખ પટેલ ત્રણ માસથી ભાગતા ફરતા હતા. તેમજ એક માસથી જેલમાં બંધ છે, છતાં કંપનીનો વહીવટ ચાલે છે એટલે જયસુખ પટેલનું બહાર આવવું જરૂરી નથી. જે બાદ નામદાર મોરબી કોર્ટે આગામી 7મી માર્ચે ફેંસલો કરવાનું મુકરર કર્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે વળતર ચૂકવવા આપ્યો હતો આદેશ
આ પહેલા મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને મૃતકના પરિવારજનોને રૂ.10-10 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા દરેક પીડિતને રૂ. 2-2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ચુકાદો સંભળાવતી વખતે ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે વળતર ચૂકવવાથી પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળશે તેમ કંપનીએ માનવું જોઈએ નહીં. કેસની કાર્યવાહી અને વળતરને કોઈ સંબંધ નથી.
જયસુખ પટેલ જેલના સળિયાની પાછળ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં ગત 8 ફેબ્રુઆરીએ તેને મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરાયો હતો. મહત્વનું છે કે, પુલ દુર્ઘટના બાદથી ફરાર જયસુખ પટેલે ગત 31મી ડિસેમ્બરે મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જયસુખને આશરો આપનાર સામે પણ થઈ શકે છે કાર્યવાહીઃ સરકારી વકીલ
આ મામલે સરકારી વકીલ એસ.કે વોરાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. જયસુખ પટેલને કોને કોને આશરો આપ્યો છે તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જયસુખ પટેલની રિમાન્ડમાં અનેક ખુલાસા થઈ શકે છે. હાલ 304 મુજબ ગુનો દાખલ થયો છે, જેમાં આજીવન કેદની પણ જોગવાઈ છે.
ચાર્જશીટમાં થયો હતો મોટો ધડાકો
મોરબી પુલ દુર્ઘટના મામલે ગત 27 જાન્યુઆરીએ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં જયસુખ પટેલે અંગત સ્વાર્થ માટે પુલને અધૂરા સમારકામે ખુલ્લો મુક્યો હોવાનો ધડાકો થયો હતો. પુલ ખુલ્લો મુકવા પાછળ જયસુખ પટેલનો આર્થિક લાભ હોવાનોં પણ દાવો કરવામાં આવ્યો હતો. સમારકામની મુદત એક વર્ષ છતાં છ મહિનામાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો ધડાકો થયો હતો. વધુમાં પુલના બે કેબલમાંથી એક કેબલ નબળો હોવા છતા સમારકામ મામલે ઉદાસીનતા દાખવવામાં આવતા મોટી દુર્ઘટના થઈ હતી. તો બીજા કેબલમાં 49માંથી 22 તાર કાટ ખાઘેલા હોવા છતાં રિપેર ન કર્યોનું પણ ભોપાળુ છતું થયું હતું. એટલું જ નહીં ટેકનિકલ મદદ લીધા વગર જ પુલનું કામ સોંપાયું હોવા ઉપરાંત પુલ નદીની ઉપર હોવા છતા લાઇફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ન કર્યાનું પણ બહાર આવ્યું હતું.
બ્રિજ ખુલ્લો મુકાયાના 5 દિવસમાં થયો હતો ધરાશાયી
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તે આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.