`શ્રદ્ધાનો હોય વિષય જ્યાં, પુરાવાની ત્યાં જરૂર નથી' એ વાત ભલે અન્ય શ્રદ્ધાળુઓના દિલમાં સ્થિર થઈ ગઈ હોય પરંતુ જ્યારે આપણે વાત ત્રિપુરા સુંદરી માં બહુચરાના ભકતજનોની આસ્થાની કરતાં હોઈએ તો તો પુરાવા સાથે કરવી પડશે. અરે એ પુરાવો પણ મંદિરની ઊંચાઈ જેટલો આપવો પડશે.
કારણ કે, પાંચ વર્ષ અગાઉ બનેલા માં બહુચરના આ નૂતન મંદિરની ઉંચાઈ 56 ફૂટ થી ઘટાડી 49 ફૂટ કરી દેતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે તો જાણકારો અને વિદ્વાનો તેને અશુભ માની રહ્યા છે. જોઈએ શું છે આ મંદિરની ઊંચાઈ સાથે જોડાયેલો વિવાદ અમારા આ અહેવાલમાં.
ભક્તોની શ્રદ્ધાને પહોંચી ઠેસ
મહેસાણા જિલ્લામાં સ્થિત ત્રિપુરા સુંદરી માં બહુચરાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો માં બહુચરના દર્શનાર્થે આવે છે. જો કે, આ આજકાલ અનેકની ભક્તોની આસ્થા પૂરણ કરનારા શ્રદ્ધાના આ સ્થાનકની ઊંચાઈને લઈને જે અનેક શ્રદ્ધાળુઓમાં નિરાશા પણ જન્મી છે. બે વર્ષ અગાઉ બનેલા નવીન મંદિરની ઉંચાઈ 56 ફૂટ થી ઘટાડી 49 ફૂટ કરી દેતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચી છે તો જાણકારો અને વિદ્વાનો અશુભ માની રહ્યા છે વાત એમ છે કે, પાંચ વર્ષ અગાઉ રાજ્ય સરકારના યાત્રાધામ વિભાગ દ્વારા, બહુચરાજી મંદિરનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના કારણે શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ હતો.
મંદિરની મૂળ ઊંચાઇમાં કર્યો ઘટાડો
પરંતુ પુરાતન મંદિર જેટલી જ ભવ્યતાની આશા રાખનારા શ્રદ્ધાળુઓની આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે સફેદ પથ્થર એવા મારબલથી બનાવેલા નવીન મંદિરનું નબળું બાંધકામ અને મંદિરની મૂળ 59 ફૂટની ઊંચાઈ કરતાં 10 ફૂટ જેટલી ઓછી કરાયેલી જોવા મળી. મંદિરની ઘટી ગયેલી ઊંચાઈએ શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચાડી. ત્યારે હવે મંદિરની ઊંચાઈ ભૂલથી ઓછી અંકાઈ હોવાનું અને ટેન્ડર અને નકશામાં રહેલી આ ક્ષતિ પર ધ્યાન ન ગયું હોવાની વાત મંદિરના પૂર્વ ટ્રસ્ટી સ્વીકારી રહ્યા છે. હવે દાતાઓ અને શ્રદ્ધાળોના દાનમાંથી જ આ મંદિરની ઊંચાઈ વધારવા માટે ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાયકવાડી રાજમાં મંદિરનું થયું હતું નિર્માણ
ઉલ્લેખનીય છે કે, મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો ગાયકવાડી રાજમાં ઈ.સ. 1839માં રાજા મણાજી ગાયકવાડની અતૂટ શ્રદ્ધા અને આસ્થાએ બહુચરાજી મંદિરનું નિર્માણ કર્યું હતું. એ સમયે બનાવેલું અતિ ભવ્ય માં બહુચરનું મંદિર વર્ષો સુધી શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેદ્ર બન્યું હતું. પરંતુ બદલાતા સમયમાં મંદિરને નવનિર્મિત કરવાની જરૂરયિતા ઊભી થઈ હતી. જો કે, બે વર્ષ પહેલા રૂપિયા 8.50 કરોડના ખર્ચે બનેલા નવીન બહુચરાજી મંદિરની ભવ્યતા કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જોવા મળતી નથી. જો કે એક સમયે આ ઊંચાઈ ફરી પાછી વધારવાનું કોન્ટ્રાક્ટર પર દબાણ પણ કરાઈ ચૂક્યું હતું.
તે બધું નિયમો, ટેન્ડરની શરતો અને અને સરકારી દબાણમાં સમેટાઈ ગયું અને મંદિરની વાત કાગળ પર રહી ગઈ. મંદિરની ઊંચાઈ વધારવાની વાતને બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં ઊંચાઈ વધારવાનું કામ હજુ સુધી પૂરું થયું નથી. રૂપિયા 8.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બહુચરાજી મંદિરની ઉંચાઈ 49 ફૂટથી વધારી 59 ફૂટ કરવા રૂપિયા 1.40 કરોડ ની ફાળવણી પણ કરવામાં આવી છે તેમ છતાં ઉંચાઈ વધારવાની વાત ટેન્ડર પ્રક્રિયા બાદ પણ અદ્ધરરતાલ જ રહી છે. જો કે હવે મંદિરની ઊંચાઈ વધારવાની કામગીર હાથ ધરાશે તેવું ટ્રસ્ટીઓની વાતો પરથી લાગી રહ્યું છે.
બહુચરાજી મંદિર નિર્માણમાં અનેક ગોટાળાનું જ આ પરિમામ છે કે, મંદિરની ઊંચાઈ ઘટી ગઈ છે. હકીકતમાં આ મંદિરની ઊંચાઈ નહીં પરંતુ સરકારી કામમાં અને મંદિરના વહીવટ કર્તાઓની નિષ્ઠાની ઘટેલી ઊંચાઈનું પ્રતિક બની ગયું છે. જે આજે મંદિરના શિખરે ચડીને પોકારી રહી છે..પરંતુ મંદિરોના શિખરો કરતા પણ ઊંચી આસ્થાની ઊંચાઈ આ મંદિરને ફરીવાર તેની ઊચ્ચતમ ભવ્યતા અપાવશે તે વાત ચોક્કસ છે.