ભગવાન બદ્રીનાથ (Badrinath Dham) ના ભક્તો માટે એક સારા સમાચાર છે. હવે ભગવાન બદ્રીવિશાલના ભક્તોને બદ્રીનાથ ધામમાં પહોંચ્યા બાદ 300 મીટર દૂરથી પણ મંદિરના દર્શન થઈ શકશે. આ માટે રસ્તામાં આવતી દુકાનો અને હોટલોને હટાવવામાં આવશે અને ત્યાં સુંદર ‘આસ્થાપથ’નું નિર્માણ કરવામાં આવશે. દુકાનોના વિસ્થાપનના મુદ્દે લાંબી મંત્રણાઓ બાદ આખરે બદ્રી-કેદાર મંદિર સમિતિ અને પ્રશાસન વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે.
હવે પ્રભાવિતોને વિશ્વાસમાં લઈને આ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે. બદ્રીનાથ ધામને કેદારનાથ ધામની જેમ વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારે રૂ.45.72 કરોડની રકમ મંજૂર કરી દીધી છે. પહેલા તબક્કામાં 11 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવી છે, જે તંત્રએ સંસ્થાને સોંપી પણ દીધા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે અહીં આવતા હોય છે. વર્ષ 2013ની કુદરતી આફત (ભારે વરસાદ અને ભયંકર પૂર) પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ આ વખતે ફરી વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે આવ્યા છે.
વિનાશક પૂર બાદ કેદારનાથ ધામના પુનર્નિર્માણનું કાર્ય હવે પૂર્ણ થવાના આરે છે અને આ નવા સ્વરૂપને સુંદર રીતે સજાવવામાં આવી રહ્યું છે. આ કારણે હવે સરકારની નજર બદ્રીનાથ ધામના કલેવર બદલવા ઉપર કેન્દ્રિત છે. આ માટે એક ખાસ વિસ્તૃત કાર્યયોજના બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા મહિના પહેલા કેદારનાથની સાથે બદ્રીનાથ ધામના દર્શન કર્યા બાદ અહીં પ્રોજેક્ટ પુરજોશમાં ચાલી રહ્યો છે.
પહેલા તબક્કામાં સરકારની યોજના બદ્રીનાથ ધામમાં ભવ્ય ‘આસ્થાપથ’ તૈયાર કરવાની છે. પ્રસ્તાવિત યોજના અનુસાર, બદ્રીનાથ ધામમાં આવ્યા બાદ મંદિરના પ્રવેશ માર્ગ પર વિશાળ અને કલાત્મક દ્વાર બનાવવામાં આવશે. તેની અંદર પ્રવેશ્યા બાદ તુરંત ભક્તો મંદિરના દર્શન કરી શકશે. હાલ આ રસ્તા પર અનેક દુકાનો અને હોટલો આવેલી છે, જેના કારણે મંદિર દૂરથી દેખાતું પણ નથી. પ્રવેશદ્વારથી મંદિર સુધીના આ રસ્તાને ‘આસ્થાપથ’ નામ આપવામાં આવ્યું છે. આ માર્ગને ભવ્ય અને સુગમ બનાવવા માટે આઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેના પર 40 સોલર લાઈટ અને 60 આકર્ષક બેન્ચ પણ મૂકવામાં આવશે.