નવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એટલે કે આ વખતે નવરાત્રીના ઉત્સાહમાં વરસાદ વિલન બની શકે છે.
નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર
મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં
હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ધામધૂમથી નવરાત્રી યોજાવા જઇ રહી છે. ત્યારે આ વખતે નવરાત્રીના ઉત્સાહમાં કોરોના નહીં પરંતુ વરસાદ હવે વિલન બની શકે છે. કારણ કે, હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે, આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઘણા મહિના પહેલાથી જ ગરબા રસિકોએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઇને કરેલી આગાહી મુજબ શક્ય છે કે કદાચ મેઘરાજા આ વર્ષે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તો નવાઇ નહીં.
હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
નવરાત્રીની રાહ જોતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીમાં વરસાદનું ગ્રહણ લાગી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. ચોમાસાના છેલ્લા દિવસોમાં હળવા વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં પણ ગઈકાલે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને ગતરોજ ભાવનગર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સતત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ભાવનગર જિલ્લાના મહુવામાં પંથકને રીતસર મેઘરાજાએ ઘમરરોળી નાખ્યું હોય તેમ 24 કલાકમાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદ ત્રાટકી ગયો હતો. મેઘ મહેરને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો બીજી તરફ ખેતરોમાં લહેરાતા પાક પર વરસાદ સોના સમાન સાબિત થતાં ખેડૂતોના હૈયે ટાઢક વળી હતી. સાથે અમદાવાદમાં પણ ગઈકાલે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
24 કલાકમાં 219 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે, બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે.હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ મહુવા, અમરેલી અને કુતિયાણામાં 5-5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિસાવદર અને મેંદરડામાં 4-4 ઈંચ વરસાદ થયો છે. સાથે લખતર 3.9 ઈંચ, જ્યારે નવસારીમાં 3.8 ઈંચ વરસાદ થયો છે અને ભેંસાણ, જૂનાગઢ તથા જલાલપોરમાં 3.7 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત ભુજ અને વેરાવળમાં 3-3 ઈંચ વરસાદ, જ્યારે બાબરા, વાડીયા, આંણદ, ગારીયાધારમાં 2.8 ઈંચ અને વંથલી, લીલીયા, સોજીત્રા, સાણંદ, પેટલાદમાં 2.3 ઈંચ વરસાદ થયો છે. સાથે લાઠી, પાલીતાણા, ધોરાજી, માણાવદર, ધંધુકા, ધોલેરામાં 1.8 ઈંચ, જેતપુર, રાણાવાવ, ચોર્યાસી, શિંહોર, વાલોડમાં 1.6 ઈંચ અને ખાંભા, મોરવાહડફ, બગસરા, ડોલવણ, ગોંડલમાં 1.4 ઈંચ વરસાદ થયો છે.