ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની કે, જ્યાં આપ એકવાર મુસાફરી કર્યા બાદ બીજીવાર જવાનું નામ લેશો નહીં
કમરતોડ રસ્તાથી છૂટકારો ક્યારે?
ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન
કમરની તકલીફ હોય તો અહીં ન જતા!
શું તમને મુસાફરી સાથે ડાન્સ કરવાનો શોખ છે. જો આપને કમરની તકલીફ હોય તો અહીથી મુસાફરી કરતા પહેલા સો વાર વિચારજો. નહીં તો મુસાફરીને બદલે ક્યાંક હોસ્પિટલ ભેગા ન થવું પડે. હા અમે વાત કરીએ રહ્યાં છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓની કે, જ્યાં આપ એકવાર મુસાફરી કર્યા બાદ બીજીવાર જવાનું નામ નહીં લો. કારણ કે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાની હાલત એટલી ખરાબ છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉબડખાબડ રસ્તાથી લોકો તોબા પોકારી ઉઠ્યાં છે. ગીરગઢડાથી ગ્રામ્ય વિસ્તારને જોડતા જિલ્લા પંચાયત હસ્તકનાં મોટાભાગના રોડની હાલત બિસ્માર છે.
હરમડિયા, પીછવી, અરીથીયા,નગડલા,સનવાવ વગેરે ગામો સાથે જોડતા રોડ અત્યંત જર્જરીત હોવાથી લોકોને મુસાફરી કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પરથી પસાર થતાં પહેલા લોકોને અકસ્માતનો સમય સતાવી રહ્યો છે. સ્થાનિકોનું માનીય તો છેલ્લા 50 વર્ષમાં આ રોડ માત્ર 2 વખત જ બન્યો છે.આ ખરાબ રસ્તા અંગે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હોવા છતાં કોઇ ધ્યાન અપાતું નથી. કોન્ટ્રાકટર સાથે મિલીભગત હોય તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સાથે સાથે જો રોડનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
લોકોની અનેક હાડમારી વચ્ચે ગીરસોમનાથ જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ઉડાવ જવાબ આપતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે રસ્તા પર ખાડાઓને કારણે મેટલિંગ કરવું પડે તેમ છે.આ મેટલિંગના ગેજનું ટેન્ડરિંગ થયું નથી માટે આ રોડનું કામ અટક્યું છે.સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ રોડનું કામ પૂર્ણ થઈ જશે.