સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં મામાને ત્યાં રહેતું 2 વર્ષનું બાળક રમતા રમતા પાણી ભરેલા ડ્રમમાં પડી જતા તેનું મોત થયું છે. આ ઘટના વાલીઓ માટે લાલ બત્તી સમાન બનીને સામે આવી છે, બાળક ગુમ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને મૃત હાલતમાં બાળક મળી આવ્યો હતો.
સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુસુફ પઠાણ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી બંને છેલ્લા 7 મહિનાથી અલગ રહેતા હતા. પત્ની તેના ભાઇના ઘરે બે વર્ષના પુત્ર યુનુસ સાથે રહેતી હતી. જેને લઇને સુરત કોર્ટમાં કેસ ચાલતો હતો. પરંતુ યુસુફ તેની પત્ની અને બાળકને લઇ જવા માટે તૈયાર ન હતો. આ દરમિયાન ટ્રિપલ તલાકનો કાયદો આવતા યુસુફ તેની પત્નીને લઇ જવા માટે તૈયાર થયો હતો. શનિવારે બે વર્ષનો યુનુસ તેના મામાના ઘરે રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા તે ઘરમાં રાખેલા પાણી ભરેલા ડ્રમમાં પડી ગયો હતો. બીજી તરફ યુનુસ ઘરમાં ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
બાળક ગુમ હતું અને અંદાજિત એક કલાક બાદ યુનુસ 35 લિટરના પાણી ભરેલા ડ્રમમાંથી મળી આવ્યો હતો. તુરંત જ તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાંથી બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પણ ડોક્ટર્સે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પરિવારજનોની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકના પિતાએ તેના મામા પર આક્ષેપો મુક્યો હોવાનું મૃતક બાળક યુનુસના મામાએ જણાવ્યું હતું કે, યુસુફે અમારા પર કરેલા આક્ષેપો તદ્દન ખોટા છે. તે સાત મહિનાથી બાળકને મળવા પણ આવતો ન હતો અને મારી બહેનને લઇ જવા પણ તૈયાર ન હતો. ટ્રિપલ તલાકનો કાયદો આવતા ડરીને તે બહેનને લઇ જવા માટે તૈયાર થયો હતો.