કરનાલમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન બાબા રામદેવ થયા લાલઘૂમ, આપી દીધો એવો જવાબ કે ટ્વિટર પર બોયકોટ પતંજલિ હેશટેગ ટ્રેન્ડ થયું
મોંઘવારી અંગે સવાલ પૂછતા ભડક્યા બાબા રામદેવ
પત્રકારના સવાલ પર બાબા રામદેવ ગુસ્સે થયા
હરિયાણાના કરનાલમાં મિત્રની મુલાકાતે ગયા હતા રામદેવ
આમ તો યોગ ગુરુ બાબ રામદેવ જાહેર કાર્યક્રમો કે મીડિયા સામે ઘણા જ સહજ અને મજાક કરતા જોવા મળે છે. પરંતુ હરિયાણાના એક કાર્યક્રમ દરમિયાન બાબાતો મીડિયાના સવાલો પર ભડકી ઉઠ્યા. મીડિયા દ્વારા મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરના ભાવમાં વધારા અંગે તેમના જૂના દાવાઓ પર સવાલ પૂછવામાં આવ્યા તો પહેલા તો બાબાએ પત્રકારોને બેફામ જવાબો આપીને ટાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં પણ પત્રકારોએ એનો એજ મુદ્દો પકડી રાખતા બાબ રામદેવ ગુસ્સે થઇ ગયા અને કહી દીધુ કે હવે ચૂપ થઇ જજો નહી તો ઠીક નહી રહે. બાબા રામદેવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. લોકો ટ્વિટર પર તેમને ટ્રોલ કરીને બોયકોટ પતંજલિ હેશ ટેગને ટ્રેન્ડ કરવાનું શરુ કરી દીધુ છે.
સારા સવાલ પૂછોને-બાબા રામદેવ
બાબા રામદેવે કરનાલની મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન જ્યારે પત્રકારે પૂછ્યું કે હવે તમને યોગ ગુરુમાંથી બાબા લાલદેવ કેમ કહેવામાં આવે છે ? આ સવાલ સાંભળીને બાબા રામદેવના તેવર બદલાઇ ગયા. તેમણે આટકતરી રીતે જવાબ આપતા કહ્યું કે તને પેટમાં દુઃખે છે . આના પર રામદેવની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને હસવા લાગ્યા. આ પછી પત્રકારે પૂછ્યું કે તમે જનતાને કહ્યું હતું કે શું તમને એવી સરકાર જોઈએ છે જે 40 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ અને 300 રૂપિયાનું સિલિન્ડર આપે ? ત્યારે બાબા રામદેવે કહ્યું કે કંઇક સારા સવાલ પૂછો.
પત્રકારે જ્યારે ફરીથી આનો આજ સવાલ પૂછ્યો તો બાબા એકદમ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા કે હા મે કહ્યું હતું, તોપત્રકારે બીજો સવાલ કરતા કહ્યું કે તમારી કંપની પતંજલિ જગપ્રસિદ્ધ છે… હજી તો આમ બોલતા જ રામદેવે અધવચ્ચે જ અટકાવીને કહ્યું, 'અરે મને આવા પ્રશ્નો ન પૂછો. હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે કોન્ટ્રાક્ટર નથી. થોડા સંસ્કારી બનતા શીખો.જ્યારે પત્રકારે પૂછ્યું કે તમે તેના વિશે બાઈટ આપી હતી ? તો રામદેવે કહ્યું, 'હા, મેં બાઇટ આપી હતી. હવે નહીં આપું. લે કરીલે, શું કરી લઇશ. ચૂપ થઇ જા , હવે આગળ પૂછીશ તો યોગ્ય નહી થાય.
#BoycottPatanjali ટ્રેન્ડ થયો શરુ
મહત્વનું છે કે બાબા રામદેવ બુધવારે તેમના મિત્ર મહારાજ અભેદાનંદને મળવા માટે કરનાલ પહોંચ્યા હતા. કરનાલની બંસો ગેટ સ્થિત એસબી મિશન સ્કૂલની શાખા અભેદ શક્તિ સદન પહોંચ્યા હતા. જ્યાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાબા રામદેવનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કરનાલની મુલાકાત દરમિયાન બાબા રામદેવે અલગ-અલગ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. બાબા રામદેવ સમક્ષ યુઝર્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.