Dhirendra Shastri News: સુરત, અમદવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં પણ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. જેને લઈને નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે
3 જૂને દિવ્ય દરબારનું આયોજન
દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર સામે આવ્યા હતા કે બાબા બાગેશ્વરના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે. જોકે, હવે આમાં વડોદરાનું નામ પણ ઉમેરાયું છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજશે.
નવલખી મેદાનમાં ભરાશે બાબાનો દરબાર
વડોદરામાં 3 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. 26 મે બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સેવકો વડોદરા આવશે. બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને નવલખી મેદાનમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મામલે આયોજક કમલેશ પરમારનું નિવેદન સામે આવ્યું છે.
દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ
કમલેશ પરમારે જણાવ્યું કે, મેં મહારાષ્ટ્રના મીરા રોડ અને અંબરનાથ ખાતે દિવ્ય દરબારમાં હાજરી આપી હતી. જે બાદમાં વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરવાનું મન બનાવ્યું છે. આ માટે શહેર ભાજપની ટીમે સહયોગ આપવા કહ્યું એટલે હિંમત થઈ છે. 3 જૂનના રોજ સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.
સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે.
અમદાવાદમાં 29 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો ભરાશે દરબાર
અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં 1 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબા બાગેશ્વરનો અમદાવાદમાં દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં ભરાશે બાબાનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.
ક્યાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?
- 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
- 29 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે
- 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં